GSHSEB ધોરણ 10, 12 માટે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ના ધોરણ 10 અને ધોરણ 12 માટે ચાલુ વર્ષે પણ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ના ધોરણ 10 અને ધોરણ 12 માટે ચાલુ વર્ષે પણ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ કોરોના મહામારીને કારણે લગભગ ધોરણ 10ના 9 લાખ અને લગભગ ધોરણ 12ના 7 લાખ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડવાનું આયોજન કરી રહ્યું છે. આ અંગે નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.
આ નિર્ણય સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આધારિત લેવાયો હોય તેમ જણાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને CBSEએ અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
GSHSEB દ્વારા આ બાબતની તપાસ કરવા અને તેના તારણો રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડવાની ભલામણ કરશે, ખાસ કરીને આગળના અભ્યાસમાં સાતત્ય પરિબળને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. સિલેબસ કઇ હદ સુધી કાપવાનો છે, તે અંગે સરકાર અંતિમ નિર્ણય લેશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અભ્યાસક્રમ ફક્ત શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ સુધારવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 માં GSHSEB દ્વારા બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી, અભ્યાસક્રમમાંથી બાકાત કરાયેલા પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. તેવી જ રીતે, સમિતિ સુનિશ્ચિત કરશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વના પ્રકરણોને બાકાત રાખવામાં ન આવે. સતત બીજા વર્ષે ટૂંકા અભ્યાસક્રમો ચાલુ રાખવાનો નિર્ણય લેવા ઉપરાંત, GSHSEB તમામ શાળાઓ માટે ધોરણ 10 અને ધોરણ 12 માટે ટર્મ વાઈઝ અભ્યાસક્રમ પણ બહાર પાડશે.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક થઇ શક્યો ન હતો. સપ્ટેમ્બર 2020માં રાજ્ય શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવાની જાહેરાત કરી હતી. કારણ કે, વિદ્યાર્થીઓ ઓનલાઇન મોડ દ્વારા શીખી રહ્યા હતા. આ વર્ષે પણ રોગચાળાની સ્થિતિએ શૈક્ષણિક વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે અને શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે જુલાઇ મહિનાથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત વર્ગખંડમાં અભ્યાસ માટે શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે, જે કુલ વિદ્યાર્થી સંખ્યાના માત્ર 50 ટકા છે.