મણિરત્નમની ફિલ્મ સાથે કમબૅક કરશે ઐશ્વર્યા રાય
મુંબઈ, 3 ઑક્ટોબર : ઉડતી ખબર આવી છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય ફરી એક વાર સોનેરી પડદે ચમકવા તૈયાર છે. મમ્મી બન્યા બાદ ઐશે પ્રથમ વાર કોઈ હિન્દી ફિલ્મ સાઇન કરી છે. તે પણ પોતાના ફેવરિટ નિર્માતા-દિગ્દર્શક મણિરત્ન સાથે.
એવાં સમાચાર છે કે ઐશે મણિની ફિલ્મ માટે હા પાડી દીધી છે. આ ફિલ્મ ડેફને ડૂ મારિયરની જાણીતી નવલકથા રેબેકા ઉપર આધારિત છે. આ ફિલ્મનું શુટિંગ આવતા મહીને શરૂ થનાર છે અને ઐશની પુત્રી પણ નવેમ્બરમાં જ 16મી તારીખે એક વરસની થઈ જશે. તેને પગલે ઐશ હવે ફિલ્મોમાં પુનઃ સક્રિય થવાની તૈયારી કરી રહી છે.
આપને જણાવી દઇએ કે ઐશે વર્ષ 2010માં મણિરત્નમની જ ફિલ્મ રાવણમાં કામ કર્યુ હતું. તેમાં તેનો પતિ અભિષેક બચ્ચન પણ હતો. ફિલ્મે બૉક્સ ઑફિસે પાણીએ ન માંગ્યું. ફિલ્મના પ્રદર્શન બાદ બિગ બી અમિતાભ બચ્ચને અભિષેકના રોલ માટે મણિરત્નમની ઘણી ટીકા પણ કરી હતી. એવા સમાચાર પણ હતાં કે અમિતાભને કારણે મણિરત્નમ ઐશ અને અભિથી નારાજ છે, પરંતુ ઐશે ફરીથી ફિલ્મ સાઈન કરી જણાવી દીધું છે કે તેની અને મણિ વચ્ચે કોઈ મતભેદ નથી.
રેબેકા એક નવોઢાની વાર્તા છે, જેની સરખામણી તેના પતિની પ્રથમ સ્વર્ગસ્થ પત્ની સાથે કરાય છે. ફિલ્મમાં હીરો કોણ હશે તે અંગે અત્યારે કશુ કહી શકાય એમ નથી. ઐશ્વર્યા આ અગાઉ 1997માં મણિની ફિલ્મ ઇરુવરમાં કામ કરી ચુકી છે. દસ વર્ષ પછી બંનેએ ફિલ્મ ગુરુમાં સાથે કામ કર્યુ હતું. તેમાં અભિષેક પણ હતાં. આ ફિલ્મે સફળતાની નવી કહાણી લખી હતી.