તાવ-પેટના દુઃખાવો, છતાં કેબીસી શૂટ કરતાં અમિતાભ
મુંબઈ, 15 ઑક્ટોબર : કોઈ કલાકાર છેલ્લા ચાલીસ વરસથી જો હિન્દી સિનેમાની સેવા કરતો હોય, તો તેની પાછળ તેની કામ પ્રત્યે લગની તથા અથક મહેનત જ હશે કે જે તેને સતત નંબર વન બનાવી રાખે છે. હા જી, આપે બરાબર સમજ્યું. અમે વાત કરીએ છીએ અમિતાભની કે જેમણે ચાર દિવસ પહેલા જ 71નો આંક પાર કર્યો છે. ઉંમરને પોતાની સામે વામણી સાબિત કરનાર અમિતાભ બચ્ચન સોમવાર રાત્રે બીમાર થઈ ગયાં છે. આ માહિતી તેમણે પોતે પોતાના બ્લૉગ ઉપર આપી છે.
અમિતાભે સોમવારે લખ્યું છે - હું બીમાર પડી ગયો છું. પેટનું ઇન્ફેક્શન તથા તાવ. મને ભય છે કે આજે આખો દિવસ આમ જ ચાલશે. સાજા થવા માટે મારે આરામની જરૂર છે કે જેથી કાલે કેબીસીમાં પુનઃ આપ સૌની સમક્ષ આવી શકું. ચિંતાની જોકે કોઈ વાત નથી, પણ મોટો ખુલાસો ન કરી શકવા બદલ માફી માંગુ છું. હું આપ સૌને પ્રેમ કરુ છું.
જોકે અમિતાભે મંગળવારે પુનઃ ટ્વીટ કરી લખ્યું - કામ ઉપર છું. હજીય થોડી અશક્તિ છે. જીવનમાં કંઈ પણ સરળતાથી નથી મળતું. જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી સંઘર્ષ છે.
તો હવે તમે પોતે જ અનુમાન કરી શકો છો કે અમિતાભ બચ્ચન બીમારીની હાલતમાં પણ પોતાના શોનું શૂટિંગ કરી રહ્યાં છે, કારણ કે કમિટમેંટ એક મોટી બાબત હોય છે. કદાચ કામ પ્રત્યે આ ઝનુની મહોબ્બત અને સમર્પણ જ તેમને બીજા કરતા જુદા પાડે છે અને તેમને સદીના મહાનાયક બનાવે છે.