બનશે ભાઈ બનશે : મુન્નાભાઈ 3 અને મુન્નાભાઈ 4 પણ
મુંબઈ, 20 ફેબ્રુઆરી : મુન્નાભાઈ સિરીઝના ફૅન્સ માટે ખુશખબર છે. આ સિરીઝની ત્રીજી ફિલ્મ ટુંકમાં જ શરૂ થશે. આશા સેવાઈ રહી છે કે આ ફિલ્મ વર્ષાંતે શરૂ થશે. ત્રીજી સિક્વલ સાથે જ ફિલ્મની ચોથી સિક્વલનું શૂટિંગ પણ શરૂ થશે. બંને સિક્વલ ઇંટરલિંક્ડ હશે.
આ અગાઉ પણ અનેક વાર સમાચાર આવ્યાં છે કે મુન્નાભાઈનું શૂટિંગ ટુંકમાં જ શરૂ થશે. જોકે આ સમાચારને સમર્થન મળતું નહોતું, પરંતુ હવે ફિલ્મના મુખ્ય પાત્રોમાંના એક અરશદ વારસીએ આ અંગેની પુષ્ટિ કરી છે કે મુન્નાભાઈ 3 અને મુન્નાભાઈ 4 આ વર્ષના અંતે કે પછી આવરા વર્ષની શરુઆત સુધીમાં બનવી શરૂ થઈ જશે. ફિલ્મમાં ફરી એક વાર સંજય દત્ત અને અરશદ વારસી જ મુખ્ય રોલમાં હશે. અરશદ વારસી હાલ પોતાની આવનાર ફિલ્મ જૉલી એલએલબી અંગે વ્યસ્ત છે.
નોંધનીય છે કે મુન્નાભાઈ સિરીઝની શરુઆત મુન્નાભાઈ એમબીબીએસ સાથે થઈ હતી. તેની પ્રથમ સિક્વલ લગે રહો મુન્નાભાઈ હતી. ગત વર્ષે સાંભળવામાં આવ્યુ હતું કે મુન્નાભાઈ 3માં કાસ્ટની સાથે-સાથે દિગ્દર્શક પણ બદલાઈ શકે છે. અહીં સુધી કે મુન્નાભાઈના લીડ રોલ તરીકે રણબીર કપૂર, શરમન જોશી અને આમિર ખાન સુધીના નામો લેવાયાં, પરંતુ હકીકતમાં મુન્નાભાઈ 3 અને મુન્નાભાઈ 4માં પણ સંજય દત્ત જ મુન્નાભાઈના રોલમાં નજરે પડશે. મુન્નાભાઈ 3ના દિગ્દર્શક તો રાજકુમાર હીરાણી જ રહેશે, પરંતુ મુન્નાભાઈ 4ના દિગ્દર્શક બીજું કોઈ હોઈ શકે છે.
મુન્નાભાઈ 3નું પ્રોમો થોડાંક વરસ અગાઉ જ રિલીઝ થયુ હતું, પરંતુ તે જ વખતે રિલીઝ થયેલી માય નેમ ઇઝ ખાન ફિલ્મના પ્લૉટ સાથે તેની ખૂબ સમાનતાના પગલે તેને બંધ કરી દેવાયું, કારણ કે રાજકુમાર હીરાણીએ જણાવ્યુ હતું કે જો મુન્નાભાઈ 3ની વાર્તા સૌથી જુદી ન હોય, તો તેઓ આ સિરીઝ બંધ કરી દેશે, પરંતુ ફરી મુન્નાભાઈ સિરીઝ માટે એક સૌથી જુદી અને બહેતરીન વાર્તા લખાઈ ચુકી છે અને વર્ષાંતે ફિલ્મ શરૂ પણ થઈ જશે.