કપૂર-બચ્ચન પરિવારો વચ્ચેની કડી બનશે કરીના ?
ભોપાલ, 28 ફેબ્રુઆરી : કરીના કપૂર અને અમિતાભ બચ્ચન આજકાલ એક-બીજાની સાથે અને ખૂબ ખુશમિજાજ દેખાય છે. કરિશ્મા કપૂર તથા અભિષેક બચ્ચન વચ્ચેનું સગપણ તૂટ્યા બાદ કપૂર અને બચ્ચન પરિવારો વચ્ચેના વર્ષો જૂના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. ફિલ્મ સત્યાગ્રહના શૂટિંગ દરમિયાન અમિતાભ અને કરીના વચ્ચેની નિકટતા જોઈ એવી અટકળો લગાવાઈ રહી છે કે શું કરીના અને અમિતાભ એવી કડી બની શકશે કે જે બચ્ચન-કપૂર પરિવારોના સંબંધો પુનઃ જીવંત કરી દે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન હાલ પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મના શૂટિંગ માટે ભોપાલમાં છે અને ફિલ્મમાં કરીના પણ છે કે જે એક પત્રકારનો રોલ કરી રહ્યાં છે. અમિતાભ અને કરીના સેટ ઉપર ખૂબ ખુશ દેખાય છે અને એવી રીતે વર્તે છે કે જાણે બંને પરિવારો વચ્ચે ક્યારેય કોઈ કડવાશ જ નહોતી.
એટલું જ નહીં, અમિતાભે તો શૂટિંગ બાદ પોતાના બ્લૉગ ઉપર કરીનાનું બાળપણ યાદ કર્યું અને પુકારના શૂટિંગ દરમિયાન કરીનાનું રડવું યાદ કરી પુનઃ જૂના સંબંધો તાજા કરી નાંખ્યાં. અમિતાભ મુજબ પુકારના શૂટિંગ દરમિયાન જ્યારે ત્રણ વર્ષની કરીનાએ જોયું કે તેના પપ્પા રણધીર કપૂરની ધોલાઈ થઈ રહી છે, તો તે દોડી અને પછી પડી ગઈ. ત્યારે અમિતાભે તેને ખોળે ઉપાડી અને માટીથી ખરડાયેલા તેના પગ ધોવડાવ્યા હતાં.
એ તો સૌને યાદ જ હશે કે એક સમયે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન અને રણધીર કપૂરના પુત્રી એટલે કે કરીનાના મોટા બહેન કરિશ્મા કપૂર લગ્નગ્રંથિથી જોડાવાના હતાં. સગપણ પણ થઈ ગયુ હતું, પરંતુ પછી આ સગપણ લગ્ન સંબંધી પહોંચી શક્યુ નહોતું. જોકે પછી તો કરિશ્માએ સંજય કપૂર અને અભિષેક ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધાં.