આ એવોર્ડ પર માત્ર મારો હક છે....
ફિલ્મફેર એવોર્ડ્સના નોમિનેશન્સ એનાઉન્સ થયા ત્યારથી બોલિવૂડમાં યોજાનાર વિવિધ એવોર્ડ ફંક્શન્સ અને તેના નોમિનેશન્સ ચર્ચામાં છે.
અનિલ કપૂરના કુંવર હર્ષવર્ધન કપૂરમાં ટેલેન્ટ હોય કે ન હોય, કોન્ફિડન્સ ઠાંસી ઠાંસીને ભર્યો છે. તેની વાતો અને હરકતો પરથી તો એવું જ લાગે છે. હાલમાં જ હર્ષવર્ધન કપૂરે ફિલ્મફેર એવોર્ડ અંગે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ફિલ્મફેરે તેમની સાથે ખૂબ અન્યાય કર્યો છે.
આ જૂનિયર કપૂરનું માનવું છે કે, બે એવોર્ડ શોએ તેમને બેસ્ટ ડેબ્યૂનો એવોર્ડ આપ્યો, પરંતુ ફિલ્મફેરે આ એવોર્ડ દિલજીત દોસાંજને આપ્યો, જેઓ પહેલેથી જ એક પોપ્યૂલર પંજાબી એક્ટર છે. તો એવામાં ડેબ્યૂ એમને ડેબ્યૂ એવોર્ડ આપવાનો અર્થ શું?
આ પહેલા પણ ઘણા એક્ટરોએ એવોર્ડસ અંગે અજીબ નિવેદનો આપ્યા છે, આમિર ખાન જેવા કેટલાયે એક્ટર્સે બોલિવૂડના એવોર્ડ ફંકશન્સ જ બોયકોટ કરી દીધા છે.
હર્ષવર્ધન કપૂર
હર્ષવર્ધન કપૂરનું કહેવું છે કે, સાચી રીતે જોવા જઇએ તો ડેબ્યૂ એવોર્ડના હકદાર તેઓ છે, દિલજીત નહીં. જો કે આ પહેલીવાર નથી જ્યારે હર્ષે આવું નિવેદન આપ્યું હોય. જો કે, ક્યાંય તેઓ એવું નથી બોલ્યા કે તેમની મિર્ઝિયામાં શાનદાર એક્ટિંગ બદલ તેમને એવોર્ડ આપવો જોઇએ. તેમની આ સચ્ચાઇ બદલ તેમને થોડા એકસ્ટ્રા પોઇન્ટ તો મળવા જ જોઇએ!
અક્ષય કુમાર
અક્ષય કુમારે એક વખત કહ્યું હતું કે, એવોર્ડ ફંક્શન્સની સિટિંગ અરેન્જમેન્ટ્સ પરથી જ ખબર પડી જાય છે કે એવોર્ડ કોને મળવાનો છે. જ્યારે મને મારી સીટનું લિસ્ટ આપવામાં આવે ત્યારે હું જોઉં છું કે મારાથી આગળ કોને જગ્યા આપવામાં આવી છે, શું એ એવોર્ડ માટે નોમિનેટેડ છે? જો હા, તો એનો અર્થ કે એવોર્ડ એનો છે. હવે તો આમાં ગેસ કરવા જેવું પણ કશું નથી રહ્યું.
પર્ફોમન્સ આપો, એવોર્ડ જીતો
અક્ષય કુમારે અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે, 'કેટલાયે લોકો એવોર્ડ ફંક્શનમાં પર્ફોમન્સ માટે મારો સંપર્ક કરી ચૂક્યાં છે. જે લોકો એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કરે છે, તેમનો એક એવોર્ડ તો પાક્કો જ હોય છે.'
અજય દેવગણ
અજય દેવગણે તો બહુ પહેલા જ એવોર્ડ ફંક્શન્સ બોયકોટ કરી દીધા હતા. તેમની જખ્મ અને ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યા હતા, પરંતુ બોલિવૂડ એવોર્ડ ફંક્શન્સમાં કોઇએ તેમનો ભાવ પણ નહોતો પૂછ્યો. ત્યારથી જ તેમણે એવોર્ડ ફંક્શન્સમાં આવવાનું બંધ કરી દીધું હતું, આજે પણ તેમની વાઇફ કાજોલ જ તેમના વતી એવોર્ડ લેવા આવે છે.
આમિર ખાન
આમિર ખાન એવોર્ડ ફંક્શન્સમાં ક્યારેય હાજરી નથી પુરાવતા. તેમની આ અંગે ઘણીવાર ખિલ્લી પણ ઉડાવાઇ છે. તેઓ તો પોતે પ્રોડ્યૂસ કરેલી ફિલ્મોની ક્લિપ પણ નોમિનેશન માટે નથી આપતા. આમિરના એવોર્ડ ફંક્શન્સ સામેના આ આકરા ગુસ્સાનું કારણ છે, તેમની ફિલ્મ લગાન. લગાન રિલિઝ થઇ તે વર્ષે એવોર્ડના નોમિનેશનમાં આ ફિલ્મને સ્થાન નહોતું મળ્યું.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને એવોર્ડ ફંકશન્સ બોયકોટ તો નથી કર્યાં, પરંતુ તેમણે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, એવોર્ડ શો જોનારાને એવું લાગે છે જાણે બોલિવૂડનો કોઇ ફેમિલિ શો ચાલી રહ્યો છે. પરંતુ ખરેખર તો દરેક સ્ટાર માત્ર 10 મિનિટ માટે ફંક્શનમાં આવે છે, પોતાનો એવોર્ડ લે છે અને કેમેરા સામે પોતાના 10-12 શોટ આપી ચાલતી પકડે છે.
રણવીર સિંહ - સોનાક્ષી સિન્હા
રણવીર અને સોનાક્ષી પણ પૂરી પ્રમાણિકતા સાથે એવોર્ડ ફંક્શન્સ અટેન્ડ કરે છે. પરંતુ જ્યારે તેમની ફિલ્મ લૂંટેરા સાથે એવોર્ડ ફંક્શનમાં થયેલા અન્યાય સામે આ બંન્ને સ્ટાર્સે ખૂબ વિરોધ નોંધાવ્યો હતો.
કંગના રનૌત
કંગના રનૌતે દીપિકા પાદુકોણને કારણે એવોર્ડ ફંક્શન્સને બોયકોટ કરવાનો નિર્ણય લીધો હતો. જી હા, જે વર્ષે કંગના ફિલ્મ ક્વીન રિલિઝ થઇ તે વર્ષના કંગનાના ભાગના તમામ એવોર્ડ દીપિકા પાદુકોણને આપવામાં આવ્યા હતા. આ અન્યાય બાદ કંગનાએ એવોર્ડ ફંક્શન સામે વિરોધ નોંધાવ્યો હતો. કંગનાનો પોઇન્ટ પણ વ્યાજબી હતો, ક્વીન સામે હેપ્પી ન્યૂ યરને એવોર્ડ આપવો અન્યાય જ ગણાય.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ પણ દીપિકા પાદુકોણને હેપ્પી ન્યૂ યર માટે એવોર્ડ આપવા સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એ વર્ષે પ્રિયંકા ચોપરાને મેરી કોમ માટે એવોર્ડ નહોતો મળ્યો.
આશુતોષ ગોવારિકર
તો વળી આશુતોષ ગોવારિકરે પ્રિયંકા ચોપરાને એવોર્ડ મળવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આશુતોષ ગોવરિકે આઇફા એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ જોધા અકબરનો એવોર્ડ લેતી વખતે માઇક પર કહ્યું હતું કે, પ્રિયંકા હું તને ખૂબ પ્રેમ કરું છે, પરંતુ જ્યારે એશ્વર્યા જોધા અકબર માટે નોમિનેટેડ હતી, તો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ તને કેવી રીતે મળી ગયો, એ હું સમજી નથી શકતો.
સોનમ કપૂર
સોનમ કપૂરને તેની એક્ટિંગ માટે એવોર્ડ મળવો જોઇએ કે કેમ તે ચર્ચાનો વિષય છે, પરંતુ થોડા સમય પહેલા જ એવોર્ડ ફંક્શનમાં થતા અન્યાય વિશે નિવેદન આપતાં તેણે કહ્યું હતું કે, મારી પાસે કોઇ એવોર્ડ નથી, કારણ કે મારા પપ્પા મારે માટે એવોર્ડ ખરીદવાની ના પાડે છે.