સાયરા સાથે ઉમરાએ ઉપડવાની તૈયારીમાં છે દિલીપ કુમાર
મુંબઈ, 3 જાન્યુઆરી : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે ગત માસે 90નો આંકડો પાર કર્યો છે. ઉંમરના આ તબક્કે દિલીપ સાહેબ પોતાનો તમામ સમય અલ્લાહની ખિદમતમાં વિતાવવા માંગે છે. તેથી તેઓ પોતાના પત્ની સાયરાબાનુ, આસિફ અને ફૈજલ સાથે ઉમરા ઉપડવા માટે સાઉદી આરબ જવાની તૈયારીમાં છે.
દિલીપ સાહેબ આ માહિતી ટ્વિટર દ્વારા આપી છે. તેમણે પોતાના સંદેશમાં લખ્યું છે - અલ્લાહની મહેરબાની છે કે તેમણે મને સાયરા, આસિફ, ફૈજલ સાથે ઉમરાએ જવાની શક્તિ આપી છે. મારા તબીબ મિત્રો અને મારા કેટલાંક સંબંધીઓ પણ મારી સાથે ઉમરાએ જશે. આપ મારા માટે દુઆ કરો.
નોંધનીય છે કે આ વખતે દિલીપ કુમારે પોતાનો જન્મ દિવસ ધામધૂમપૂર્વક ઉજવ્યો નહોતો કારણ કે તેમના ઘણા સારા મિત્રોએ ગત વર્ષે ફાની દુનિયા છોડી દીધી હતી. તેથી આ વખતે તેઓ જન્મ દિવસ સાદગીપૂર્વક ઉજવાયો. દિલીપ કુમારના જન્મ દિવસે પત્ની સાયરાબાનુએ જણાવ્યુ હતું કે જ્યારે તેઓ 12 વર્ષના હતાં, ત્યારે જ તેમને દિલીપ સાહેબ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમને વિશ્વાસ નહોતો થતો કે તેઓ દિલીપ કુમારના બેગમ બની જશે. સાયરાએ જણાવ્યુ હતું કે જ્યારે તેમણે દિલીપ સાહેબ સાથે લગ્ન કર્યા હતાં, ત્યારે લોકોએ જાહેર કર્યુ હતું કે ઉંમરના આ ભારે અંતર ધરાવતાં લગ્ન લાંબા ટકી શકશે નહીં, પરંતુ સાયરાએ તેવી તમામ ભવિષ્યવાણીઓ ખોટી ઠેરવી નાંખી. સાયરાની નજરે દિલીપ કુમાર રીયલ હીરો છે કે જેઓ ખૂબ લવિંગ અને કૅરિંગ છે.