સોનાલી ફોગાટ હત્યા કેસમાં પોલીસ સતત એક્શનમાં, પરિવારના આરોપોની તપાસ થશે!
બીજેપી નેતા સોનાલી ફોગાટનું મોત એક સતત રહસ્ય બની રહ્યું છે. આ હત્યા કેસમાં સોનાલીના પરિવાર દ્વારા સતત અનેક ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી : બીજેપી નેતા સોનાલી ફોગાટનું મોત એક સતત રહસ્ય બની રહ્યું છે. આ હત્યા કેસમાં સોનાલીના પરિવાર દ્વારા સતત અનેક ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ મામલામાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ગોવા પોલીસના કાન સરવા થયા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોવા પોલીસની એક ટીમ મંગળવારે હિસાર જશે અને સોનાલીના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને શંકાઓની પુષ્ટિ કરશે. આ માહિતી ગોવા પોલીસે આપી છે. જણાવી દઈએ કે સોનાલીનો પરિવાર હિસારમાં રહે છે અને તેના અંતિમ સંસ્કાર પણ હિસારમાં કરવામાં આવ્યા હતા. સોનાલી ફોગાટનું હિસારમાં ફાર્મ હાઉસ છે, તે પોતાનો મોટાભાગનો સમય અહીં જ પસાર કરતી હતી.
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે સોમવારે કહ્યું કે, સોનાલી ફોગાટ હત્યા કેસમાં ચાલી રહેલી તપાસ અંગે ગોવા સરકાર હરિયાણા સરકારને એકશન ટેકન રિપોર્ટ (ATR) સુપરત કરશે. પ્રમોદ સાવંતે કહ્યું કે ગોવા પોલીસ આ મામલાની યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે અને અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે તે સાચી દિશામાં છે. જો કે, સીએમએ એમ પણ કહ્યું છે કે જો જરૂર પડશે તો આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે.
ગોવા પોલીસે ખુલાસો કર્યો છે કે સોનાલી ફોગાટની તેના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદર દ્વારા ડ્રગ્સ આપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે સુધીરે ડ્રગ્સ ખરીદ્યું હતું અને સોનાલીને પાણીમાં ભળીને બોટલ પીવડાવી હતી. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, સુધીર સાંગવાનની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સોનાલીને આપવામાં આવેલી દવા મેથામ્ફેટામાઈન એટલે કે MD છે. તમને જણાવી દઈએ કે સુધીર અને સુખવિંદર પોલીસની કસ્ટડીમાં છે.