ઘનચક્કરના ચક્કરમાં ફસાયા ઇમરાન-વિદ્યા
મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડની ડર્ટી અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મોના પાત્રો માણસને વિચારવા માટે મજબૂર કરે છે, પરંતુ આ વખતે તેણે લોકોને હસાવવાનું નક્કી કર્યું છે. વિદ્યાએ ઘનચક્કર નામની એક કૉમેડી ફિલ્મ સાઇન કરી છે. તેનું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તા કરશે. ફિલ્મમાં વિદ્યા સાથે ઇમરાન હાશમી હશે. રાજકુમાર ગુપ્તા સાથે વિદ્યા બાલન અગાઉ નો વન કિલ્ડ જેસિકા ફિલ્મમાં કામ કરી ચુકી છે.
ઘનચક્કર ફિલ્મને લઈને ઉત્સાહિત વિદ્યાએ જણાવ્યું કે તેને અંદરથી ડર લાગી રહ્યો છે, કારણ કે માણસને રવડાવવો તો સરળ છે, પરંતુ હસાવવો બહુ જ મુશ્કેલ છે. જોકે વિદ્યાનું કહેવું છે કે તે પોતાના તરફથી પુરતા પ્રયત્નોકરશે કે તે પોતાના આ કામમાં સફળતા પામે. ઇમરાન સાથે વિદ્યાએ ધ ડર્ટી પિક્ચર ફિલ્મમાં પણ કામ કર્યુ હતું.
વિદ્યાએ ભૂલભુલૈયા, પા, પરિણીતા, ઇશ્કિયાં, ધ ડર્ટી પિક્ચર અને કહાની જેવી ફિલ્મોમાં પડકારરૂપ તેમજ બોલ્ડ પાત્રો ભજવ્યાં છે. જોકે વિદ્યા લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં એક હળવાફૂલ જેવા પાત્રમાં પણ નજરે પડી હતી. આ ફિલ્મ કૉમેડીના શેડથી ભરપૂર હતી, પરંતુ વિદ્યાનો રોલ કૉમિક નહોતું. ખેર, જોઇએ કે વિદ્યા-ઇમરાનની ઘનચક્કર કેટલાં લોકોને પસંદ આવે છે.