પોતાની અંદર જ છે ભગવાન
મુંબઈ, 28 સપ્ટેમ્બર : જગતમાં ભગવાનના અસ્તિત્વ મુદ્દે અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને તે બધી ફિલ્મો લોકોએ ઘણી પસંદ પણકરી છે, પરંતુ આ વખતે અક્ષય કુમારે જે રીતે ગૉડને ફિલ્મની મુખ્ય થીમ બનાવી બધા પાત્રોને વણ્યાં છે અને કૉમેડીનો તડકો લગાવ્યો છે, તે જોતાં દરેકના મોંમાંથી સરી પડશે ઓહ માય ગૉડ!
ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત ઓહ માય ગૉડ (ઓએમજી) પ્રસિદ્ધ ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી પર આધારિત છે. આ સમગ્ર ફિલ્મ એક કૉમેડી ડ્રામા છે કે જે લોકોને એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓએ ભગવાનને પ્રેમ કરવો જોઇએ. ફિલ્મનો સંદેશ છે કે ભગવાન કોઈ મૂર્તિ કે તસવીરમાં નથી, પણ ભગવાન આપણી ભીતરમાં જ છે. કહેવાનો મતલબ એ છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે. જે માણસ સાચા હૃદયે ભગવાનને માને છે, ભગવાન તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ભાવેશ માંડલિયાએ લખી છે.
વાર્તા - ઓહ માય ગૉડની વાર્તાની રૂપરેખા કાનજીભાઈ ઉપર તૈયાર કરાઈ છે કે જે એક એંટિક શૉપનો માલિક હોય છે. તેને માટે ભગવાન અને ધર્મનો કોઈ મતલબ નથી. તે જૂની દેખાતી ભગવાનની મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ ખરીદે છે અને તેને એંટિક પીસ બતાવી બમણા ભાવે વેચે છે. ગૉડ તેના માટે સૌથી વધુ પૈસા લાવનાર સાધન છે.
એક દિવસ શહેરમાં ભૂકમ્પ આવે છે અને ઘણાં મકાનો-દુકાનો સાથે કાનજીભાઈની દુકાન પણ તુટી જાય છે. જ્યારે ઇંશ્યોરેંસ કમ્પની કાનજીભાઈની દુકાન ધરાશાયી થતા થયેલ નુકસાનનું વળતર આપવાનો ઇનકાર કરી દે છે. કાનજીભાઈ ગૉડને પોતાના નુકસાન માટે જવાબદાર ઠેરવી તેની વિરુ્દ્ધ કેસ કરી દે છે. તે બધા મોટા પુજારીઓને પણ કાનૂની નોટિસ પાઠવે છે. પછી શું થાય છે અને કાનજીભાઈનો વિશ્વાસ કઈ રીતે ભગવાન પ્રત્યે પરત ફરે છે? એ જાણવા જોવી પડશે ઓહ માય ગૉડ.
ફિલ્મમાં પરેશ રાવલે કાનજીભાઈનું અને અક્ષય કુમારે કૃષ્ણા વાસુદેવ એટલે કે ગૉડનું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત સોનાક્ષી સિન્હા, મિથુન ચક્રવર્તી, પૂનમ ઝાવેર, ગોવિંદ નામદેવ, મહેશ માંજરેકર, નિધિ સુબ્બાહ અને મુરલી શર્મા પણ સપોર્ટિંગ રોલમાં છે. સાથે-સાથે સોનાક્ષી સિન્હાએ પણ ફિલ્મમાં એક આઇટમ પરફૉર્મન્સ આપ્યું છે.
અભિનય - અક્ષય અને પરેશ રાવલની જોડી સૌપ્રથમ હેરાફેરી સિરીઝમાં પોતાનો જાદુ ચલાવી ચુકી છે. આ વખતે પણ બંનેની જોડી બૉક્સ ઑફિસે ધમાલ મચાવનાર છે. અક્ષય આ વખતે કમ્પ્લીટ સરપ્રાઇઝ પેકેજ તરીકે નજરે પડશે. ભગવાનના પાત્રમાં અક્ષયે જોરદાર કૉમેડી કરી છે. બીજી બાજુ પરેશ રાવલ કે જે શ્રેષ્ઠ કૉમેડિયન છે તેમણે પણ કાનજીભાઈ બની બહુ હસાવ્યા છે. તેમના સંવાદો અને ભાવો દરેક સીનમાં બહેતરીન છે.
વિવાદ - એમ તો ઓહ માય ગૉડ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ગંભીર વિવાદ સામે નથી આવ્યો, પરંતુ આમ છતાં તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કે કોઈકે ઓએમજી વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો છે, જેમાં જણાવાયું છે કે આ ફિલ્મમાં ભગવાનના નામે મજાક કરવામાં આવી છે અને ભારતીયોની લાગણીઓને દુભાવવામાં આવી છે.