ટ્રોલર્સને અક્ષય કુમારે આપ્યો જવાબ, કહ્યું - આવી જ રીતે ફિલ્મો કરીશ, કોઇની ચોરી નથી કરતો
બોલીવુડના ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે. અક્ષય કુમારની આ વર્ષે એક પછી એક ચાર ફિલ્મો રિલીઝ થઇ હતી. જોકે આમાંથી એકેય ફિલ્મો બોક્સ ઓફિસમાં કંઇ ખાસ ઉકાળી શકી નથી.
બોલીવુડના ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે. અક્ષય કુમારની આ વર્ષે એક પછી એક ચાર ફિલ્મો રિલીઝ થઇ હતી. જોકે આમાંથી એકેય ફિલ્મો બોક્સ ઓફિસમાં કંઇ ખાસ ઉકાળી શકી નથી. જે કારણે અક્ષય કુમારને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અક્ષય કુમારને લોકો સવાલ કરી રહ્યા છે કે, આટલી બધી ફિલ્મો શા માટે કરી રહ્યો છે. તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા સમયે અક્ષય કુમારે આ વાતનો જવાબ આપ્યો છે.
ચાર ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અક્ષય કુમારની ચાર ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેમાં બચ્ચન પાંડે, સમ્રાટ પૃથ્વીરાજ, રક્ષા બંધન અને રામ સેતુનો સમાવેશ થાય છે.
આવા સમયે, અભિનેતાની એક ફિલ્મ ('કટપુતલી') OTT પર રિલીઝ કરવામાં આવી છે. આ બધી ફિલ્મોમાં કોઈએ એવું કલેક્શન કર્યું નથી, જેની આશા અક્ષય કુમારની ફિલ્મો પાસેથી રાખવામાં આવે છે.
ઘણી વખત લોકો ખિલાડી કુમારની ટીકા કરે છે અને કહે છે કે, તે આટલી બધી ફિલ્મો કેમ કરી રહ્યો છે? તેના જવાબમાં અક્ષય કુમારે જણાવ્યું છે કે, તેને બિલકુલ સમજાતું નથી કે, લોકોને તેના કામ કરવાથી શું તકલીફ છે?
ભવિષ્યમાં પણ આટલી જ ફિલ્મો કરવાનું ચાલુ રાખીશ!
એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે, તે આટલું કામ કેમ કરી રહ્યો છે કે, એક વર્ષમાં તેની ચારથી પાંચ ફિલ્મો રિલીઝ થાય છે? આના પર અક્ષયે જણાવ્યું હતું કે, તમે મને કહો, શું અહીં હાજર કોઈ વ્યક્તિ તેના બાળકોને પૂછે છે કે તે આટલું કામ કેમ કરે છે?
અક્ષયે આગળ વાત કરતા જણાવ્યું હતું કે, લોકો વારંવાર પૂછે છે કે, તે આટલો જુગાર કેમ રમે છે? અથવા તે શા માટે આટલું પીવે છે? પણ, જો કોઈ વધારે કામ કરે તો આ માટે સવાલ કેમ કરવામાં આવે છે?
અક્ષય કુમારે એક વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરવાનો બચાવ કરતાં કહ્યું છે કે, તે ભવિષ્યમાં પણ આવી જ રીતે ફિલ્મો કરતો રહેશે. હું વર્ષમાં ચાર ફિલ્મો કરું છું. હું જાહેરાત કરું છું. હું વધારે કામ કરું છું, પણ હું કોઈની ચોરી કરતો નથી.
જૂના નિવેદન પર કર્યો ખુલાસો
ખેલાડીએ આગળ જણાવ્યું હતું કે, મને સમજાતું નથી કે, મને કેમ પૂછવામાં આવે છે કે, હું આટલો વહેલો કેમ ઉઠું છું? સવાર માત્ર ઉઠવા માટે છે. કેટલાક લોકો પૂછે છે કે, મને આટલી વહેલી ઊંઘ કેમ આવી જાય છે? અરે મૂર્ખા રાત ઊંઘવા માટે જ હોય છે.
અક્ષય કુમારે જણાવ્યું હતું કે, મને સમજાતું નથી કે, હું શું ખોટું કરી રહ્યો છું. હું કામ કરું છું, જેને પણ તક મળે છે, આખરે કોણ કામ નહીં કરે. હું ચાર ફિલ્મો કરીશ. જરૂર પડશે તો 50 દિવસ આપીશ અને જરૂર પડશે તો 90 દિવસ પણ આપીશ. અક્ષય કુમારે પણ વાતચીત દરમિયાન પોતાના નિવેદનની સ્પષ્ટતા કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે, તે 40 દિવસમાં શૂટિંગ પૂર્ણ કરે છે.
અક્ષયે કહ્યું કે, આ વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેણે કહ્યું કે, ફિલ્મ બનવામાં આના કરતા વધુ સમય લાગે છે, એક ફિલ્મ બનતા લગભગ સરેરાશ 80 થી 90 દિવસ લે છે.