હોલીવુડની ફિલ્મ મને ઓફર થાય એટલી મારી ઓકાત નથી, એવું લોકોનું વિચારવું ખોટું છે - ગોવિંદા
તાજેતરમાં જ ગોવિંદાએ ખુલાસો કર્યો હતો કે તેમને હોલીવુડની ફિલ્મ 'અવતાર' ઓફર થઈ હતી, પરંતુ તેમણે તે ફિલ્મ રિજેક્ટ કરી નાખી હતી.
તાજેતરમાં જ ગોવિંદાએ ખુલાસો કર્યો હતો કે તેમને હોલીવુડની ફિલ્મ 'અવતાર' ઓફર થઈ હતી, પરંતુ તેમણે તે ફિલ્મ રિજેક્ટ કરી નાખી હતી. ગોવિંદાના આ નિવેદન પર સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થયા હતા. જો કે ગોવિંદાએ હવે ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું હતું કે,'હું તેમના વિચારોની કદર કરું છું. લોકો કહે છે કે ગોવિંદા જેવો વ્યક્તિ જેમ્સ કેમરુનની ફિલ્મ કેવી રીતે ફગાવી શકે, મને લોકોની આ વાત પર કોઈ આપત્તિ નથી. તેઓ પોતાની વાત કહેવા માટે સ્વતંત્ર છે. પરંતુ ગોવિંદાને આ ઓફર કેવી રીતે મળી, તે કહેવું ખોટું છે. લોકોનો આ વ્યવહાર પક્ષપાતપૂર્ણ છે.'
ગોવિંદાએ કહ્યું કે તેઓ માસ એન્ટરટેઈનર હતા અને આ ટેગ સાથે તેમને કોઈ મુશ્કેલી નથી. મને ક્યારેય સુપરસ્ટાર નથી માનવામાં આવ્યો. સમીક્ષકો અને પત્રકારોએ પણ હંમેશા વિરારનો છોકરો જ લખ્યું. કદાચ એટલે જ મને હોલીવુડની ફિલ્મ ઓફર થાય તે લોકો નથી માની રહ્યા.
અવતાર કરી રિજેક્ટ
ગોવિંદાએ કહ્યું કે જેમ્સ કેમેરુને મારી પાસે શૂટિંગ માટ 410 દિવસ માગ્યા હતા... અને આખા શરીરને પેઈન્ટ કરવાનો હતો. જે મને પસંદ નહોતું. મેં કહ્યું કે હું આયુર્વેદ, પતંજલિ અને બીજું ઘણું કરું છું. અને તમારે મારી બોડી પર કલર કરાવવો છે. આ મારાથી નહીં થાય. મને ક્ષમા કરો. અને મેં કહ્યું હતું કે આ ફિલ્મ સુપરહિટ થશે.
અવતાર ટાઈટલ મેં જ આપ્યું હતું
એટલું જ નહીં ગોવિંદાએ એવું પણ કહ્યું હતું અવતાર ટાઈટલ પણ તેમણે જ આપ્યું હતું. ગોવિંદાએ કહ્યું,'મેં કહ્યું હતું કે આ ફિલ્મ ખૂબ ચાલશે. મેં એવું પણ કહ્યું હતું કે આ ફિલ્મ 7 વર્ષ સુધી નહીં બને, તમે ફિલ્મ પૂરી નહીં કરી શકો એવું મને લાગે છે...'
આ ફિલ્મો કરી રિજેક્ટ
ગોવિંદાએ કહ્યું કે ફક્ત અવતાર જ નહીં પણ તેમણે ગદર-એક પ્રેમ કથા, તાલ, દેવદાસ, નાયક, ચાંદની અને સ્લમડોગ મિલિયોનર પણ રિજેક્ટ કરી હતી.
દેવદાસ
સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મ દેવદાસમાં ચુન્નીલાલના પાત્ર માટે ગોવિંદાને એપ્રોચ કર્યો હતો, પરંતુ ગોવિંદાએ આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. બાદમાં જૅકી શ્રોફને કાસ્ટ કરવામાં આવ્યા. ગોવિંદા સપોર્ટિંગ રોલ કરવા નહોતા ઈચ્છતા.
ગદર એક પ્રેમ કથા
ફિલ્મ ગદરમાં તમે સની દેઓલ સિવાય બીજા કોઈને કલ્પી જ ન શકો. તમને જણાવી દઈએ કે તારાસિંહનું પાત્ર ગોવિંદાને જ ધ્યાનાં રાખીને લખાયું હતું. પરંતુ ત્યારે જ ગોવિંદાની ફિલ્મ 'મહારાજા' રિલીઝ થઈ હતી. જે ફ્લોપ રહી હતી. એટલે ગદર એક પ્રેમકથામાં ગોવિંદાના બદલે સની દેઓલને લેવાયા હતા.
તાલ
ફિલ્મ 'તાલ'માં અનિલ કપૂરવાળો રોલ પહેલા ગોવિંદાને ઓફર કરાયો હતો, પરંતુ ગોવિંદાએ તે કરવાની ના પાડી દીધી હતી. બાદમાં અનિલ કપૂર, અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય સાથે આ ફિલ્મ બની અને સુપરહિટ થઈ. અનિલ કપૂરનો રોલ પણ ખૂબ જ વખણાયો.
સ્લમડૉગ મિલિયોનેર
ફક્ત અવતરા જ નહીં ગોવિંદાએ હોલીવુડની ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર પણ રિજેક્ટ કરી હતી. બાદમાં આ રોલ અનિલ કપૂરને મળ્યો. આ ફિલ્મથી અનિલ કપૂરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી.