જગજીત સિંહને અમર કરી ગયું ‘મેરા ગીત અમર કર દો...’
મુંબઈ, 8 ફેબ્રુઆરી : ગઝલ સમ્રાટ જગજીત સિંહનું નામ આવતાં જ અને તેમના નિધન વખતે પણ તેમની કોઈ ગઝલની સૌથી પ્રખ્યાત પંક્તિનો ઉલ્લેખ થયો હોય, તો તે હતી કહાં તુમ ચલે ગયે.... નિધન અને શોકનો કાળ ખતમ થતાં જ લોકો કદાચ જગજીત સિંહને ભુલી ગયાં, પરંતુ આજે અચાનક સવારે જગજીત સિંહ પુનઃ યાદ આવી ગયાં, કારણ કે જગજીત સિંહની આજે 73મી જયંતી હતી અને તેમની જન્મ જયંતીએ તેમના જીવનકાળની સૌથી મહત્વની પંક્તિઓ પણ યાદ આવ્યા ન રહી શકે અને તે છે પ્રેમગીત ફિલ્મનું ગીત હોઠો સે છૂ લો તુમ... મેરા ગીત અમર કર દો... જગજીત સાચે જ અમર થઈ ગયાં છે.
જગજીત સિંહ જોકે કોઈ ઓળખના મહોતાજ નથી. તેમના અવાજના દીવાનાઓના દિલોમાં તેઓ આજે પણ ધબકે છે. મૌસિકીના બાદશાહ અને ગઝલના પ્રણેતા જગજીત સિંહનો જન્મ દિવસ છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે સદેહે હાજર નથી, પરંતુ પોતાની ગાયિકી અને મખમલી અવાજના પગલે લાગતું જ નથી કે તેઓ આપણાંથી આટલી દૂર ચાલ્યા ગયાં છે. જગજીત સિંહ સંગીતના એવા ફનકાર હતાં કે જેમની સરખામણી કોઈની સાથે કરી શકાય નહીં. દિલ, મહોબ્બત, જઝ્બાત, જુદાઈને સુરોમાં વ્યક્ત કરવાં તે કોઈ જગજીત સિંહ પાસેથી શીખે. તેમના સંગીત સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આજે ભીની આંખે તેમને યાદ કરી રહી છે અને તેમની અવાજમાં જ કહી રહ્યાં છે કહાં તુમ ચલે ગયે? પરંતુ જગજીત સિંહ પોતાની પાછળ સુરોને જે વારસો છોડી ગયાં છે, તે સાંભળી એવું કહી શકાય કે નહીં તુમ કહીં ગયે...
ચાલો તસવીરો સાથે જાણીએ જગજીત સિંહની કહાણી :
રાજસ્થાનમાં જન્મ
હોઠે સ્મિત તથા આંખે ઉષ્માની વાત કરનાર જગજીત સિંહનો જન્મ 8મી ફેબ્રુઆરી, 1941ના રોજ રાજસ્થાનના ગંગાનગર ખાતે થયો હતો. તેમના પિતા સરદાર અમર સિંહ ધમાની ભારત સરકારના કર્મચારી હતાં. જગજીતનું બાળપણનું નામ જીત હતું. કરોડો શ્રોતાઓના પગલે જીત સિંહ થોડાંક જ દશકાઓમાં જગને જીતનાર જગજીત બની ગયાં.
ઇતિહાસમાં સ્નાતક
શરુઆતનું શિક્ષણ ગંગાનગરની ખાલસા સ્કૂલે થઈ અને વધુ અભ્યાસ માટે જલંધર આવી ગયાં. ડીએવી કૉલેજ ખાતેથી સ્નાતકની ડિગ્રી લીધા બાદ તેમણે કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય ખાતેથી ઇતિહાસમાં અનુસ્નાતકની ડિગ્રી હાસલ કરી.
ગુજરાતી ફિલ્મમાં બ્રેક
તેમને પ્રથમ બ્રેક ગુજરાતી ફિલ્મ માટે મળ્યું, પરંતુ પછી સંગીતના ઝનુને તેમને માયાનગરી મુંબઈ પહોંચાડી દીધાં કે જ્યાં તેમણે પોતાના સુરોથી તે ઇબાદત લખી નાંખી કે જેને મટાડવી અશક્ય છે.
ટોચના ગઝલકાર
પોતાના અવાજથી લોકો વચ્ચે ઓળખ સ્થાપિત કરનાર જગજીત સિંહે 1969માં જાણીતા ગાયિકા ચિત્રા સાથે પ્રેમલગ્ન કર્યાં. અર્થ, પ્રેમગીત, લીલા, સરફરોશ, તુમ બિન, વીર ઝારા એવી ફિલ્મો છે કે જેના દ્વારા તેઓ હિન્દી સિને જગતની ટોચે પહોંચ્યાં, પરંતુ પોતાના સ્ટેજ શો દ્વારા તેમણે ઉર્દૂથી પરિપૂર્ણ ગઝલોને સામાન્ય વ્યક્તિનો અવાજ બનાવી દીધી.
બાજપાઈની કવિતાઓ ગાઈ
ફિલ્મ સ્ટાર્સ જ નહીં, પણ અટલ બિહારી જેવા કવિની રચના ગાઈ જગજીત સિંહે જણાવી દીધું કે તેઓ માત્ર ગીતકારોના ગીતો જ ગાઈ શકે, તેવું નથી. પંજાબી, બંગાળી, ગુજરાતી, હિન્દી અને નેપાળી ભાષાઓમાં ગાનાર જગજીત સિંહ પદ્મશ્રી તથા પદ્મવિભૂષણથી સન્માનિત થઈ ચુક્યાં છે.
અને કહી અલવિદા...
પોતાના યુવાન પુત્રને એક અકસ્માતમાં ગુમાવ્યાનો આઘાત તેમની ગઝલો અને રચનાઓમાં સામાન્ય રીતે સંભળાતો હતો, પરંતુ ખૂબસૂરત અવાજના માલિક જગજીત સિંહ 10મી ઑક્ટોબર, 2011ના રોજ તેઓ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં.
ગૂગલે યાદ કર્યાં
જગજીત સિંહને ગત વર્ષે તેમની જન્મ જયંતીએ ગૂગલે યાદ કર્યા હતાં.