ઇકોત્તેરના થયાં સદાબહાર જમ્પિંગ જૅક જિતેન્દ્ર
મુંબઈ, 7 એપ્રિલ : બૉલીવુડના જમ્પિંગ જૅક જિતેન્દ્ર આજે 71 વર્ષના થઈ ગયાં. 7મી એપ્રિલ, 1942ના રોજ જન્મેલા જિતેન્દ્રની ગણતરી સદાબહાર અભિનેતાઓમાં થાય છે. તેઓ હાલ પણ સક્રિય છે.
જિતેન્દ્રના માતાનું નામ કૃષ્ણા કપૂર અને પિતાનું નામ અમરનાથ કપૂર હતું. તેમનો ફેમિલી બિઝનેસ ઈમિટેશન જ્વેલરીનો હતો. નાનપણમાં જીતેન્દ્રનું નામ રવિ કપૂર હતું. જીતેન્દ્રે સેન્ટ સબાસ્ટિન ગોન હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. રાજેશ ખન્ના તેમના સહપાઠી હતાં. બંનેએ સાથે કે સી કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જીતેન્દ્રનો પરિવાર ઈમિટેશનનો બિઝનેસ કરતો હતો. તેઓ તે સમયે જાણીતા ફિલ્મમેકર વી શાંતારામને ઈમિટેશન જ્વેલરી આપતા હતાં.વી શાંતારામે જિતેન્દ્રને જોયો અને તેમણે તરત જ પોતાની ફિલ્મ નવરંગમાં જિતેન્દ્રને સાઈન કરી લીધો હતો. તે પછી જિતેન્દ્રે પાછુ વળીને જોયું નથી.
જિતેન્દ્રએ અત્યાર સુધીમાં 200 ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેણે તે સમયની ટોચની અભિનેત્રી રેખા, હેમા માલિની, રીના રોય, શ્રીદેવી અને જયા પ્રદા સાથે કામ કરેલું છે. દર્શકોમાં જિતેન્દ્ર અને જયાપ્રદા તથા જિતેન્દ્ર અને શ્રીદેવીની જોડી ઘણી જ પસંદ આવી હતી. જિતેન્દ્ર-જયા પ્રદાએ 25 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે અને તેમાંથી 19 ફિલ્મ્સ બૉક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. જિતેન્દ્ર અને રેખાએ પણ 26 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. આમાંથી 15 ફિલ્મ્સ હિટ રહી હતી. જિતેન્દ્રએ 1960-90ના દાયકામાં જસ્ટિસ ચૌધરી, મવાલી, હિમ્મતવાલા, જાની દુશ્મન, તોહફા, પરિચય, ખુશ્બૂ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જિતેન્દ્રે તેલુગુ ફિલ્મોની હિંદી રિમેક્સમાં પણ કામ કર્યું છે. જીતેન્દ્ર રાજારામ વાકુદ્રે શાંતારામ, રમન્ના અને એલ વી પ્રસાદને પોતાના મેન્ટર્સ માને છે. જીતેન્દ્રે ક્યુંકી સાંસ ભી કભી બહુ થીમાં કેમિયો કર્યો હતો અને ઝલક દિખલા જામાં જ્જની ભૂમિકા ભજવી હતી.
જીતેન્દ્ર અને હેમા માલિની એકબીજાના પ્રેમમાં હતાં. આ બંને જણાં લગ્ન કરવા માટે તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ એક દિવસ અચાનક જ હેમા માલિનીએ જિતેન્દ્ર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને તેણે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધા હતાં. તો, જિતેન્દ્રએ પોતાની સ્કૂલ સમયની મિત્ર શોભા સાથે લગ્ન કરી લીધા. શોભા જ્યારે 14 વર્ષની હતી, ત્યારે જિતેન્દ્ર તેને પહેલીવાર મળ્યા હતા. શોભાએ સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટિશ એરવેઝમાં ઍર હોસ્ટેસની નોકરી સ્વીકારી લીધી હતી. હેમાના વિશ્વાસઘાતથી ભાંગી પડેલાં જિતેન્દ્રને શોભાએ જ સહારો આપ્યો. બિદાઈ ફિલ્મ બાદ બંનેએ લગ્ન કરી લીધાં. જિતેન્દ્રની ફિલ્મ બિદાઈ રીલિઝ ના થાય ત્યાં સુધી લગ્ન ના કરવા તેમ બંનેએ નક્કી કર્યું હતું. ફિલ્મ રીલિઝ થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતાં. આ લગ્ન ઘણી જ ઉતાવળમાં કરવામાં આવ્યા હતાં. લગ્ન જનક કુટીરમાં એકદમ સાદગીથી થયા હતાં. લગ્નમાં માત્ર નિકટના મિત્રો હાજર હતાં.આમાં ગુલઝાર, સંજીવ કુમારનો સમાવેશ થાય છે. આ લગ્નમાં શોભાની માતા પણ હાજર રહી શકી નહોતી. તે સમયે તેઓ જાપાનમાં હતાં. શોભા અને જિતેન્દ્રને બે સંતાનો છે - તુષાર કપૂર અને એકતા કપૂર. તુષાર કપૂર જાણીતા અભિનેતા છે, જ્યારે એકતા કપૂર ટીવી સીરિયલ ક્વિન છે.