વિશ્વરૂપ બમ્પર હિટ, કમલે છોડાવ્યું ગિરવે મુકેલું ઘર
મુંબઈ, 2 ફેબ્રુઆરી : હિન્દીમાં કહેવત છે દેર આયદ-દુરુસ્ત આયદ. કંઈક એવું જ થયું છે તામિળ ફિલ્મોના સુપરસ્ટાર કમલ હસન સાથે. કમલ હસનની વિવાદાસ્પદ ફિલ્મ વિશ્વરૂપ મેગાહિટ થઈ છે. આ ફિલ્મ માટે પોતાનું બધુ દાવ ઉપર લગાવનાર અભિનેતા કલમ હસન માટે હવે ખુશીની એ ક્ષણ આવી ગઈ છે. આ ફિલ્મની સફળતાના કારણે જ કમલ હસનને હવે પોતાનું ગિરવે મુકેલું ઘર પાછું મળી જશે. આ ઘર વિશ્વરૂપના નિર્માણ માટે કમલે ચેન્નઈમાં ગિરવે મુકી દીધુ હતું.
વિશ્વરૂપ ફિલ્મે અત્યાર સુધી 200 કરોડનો વ્યવસાય કર્યો છે અને હજુય તેની કમાણી ચાલુ જ છે. ફિલ્મ હિટ થતાં જ કમલ ચેન્નઈ પહોંચ્યા કે જ્યાં તેમણે સૌપ્રથમ પોતાનું ગિરવે મુકેલું ઘર છોડાવ્યું. તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. ટુંકમાં જ કમલને તેમના ઘરની ચાબી સોંપી દેવાશે.
નોંધનીય છે કે કમલ હસનની આ ફિલ્મ અંગે વિવાદ ઊભો થઈ ગયો હતો. કેટલાંક મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે તામિળનાડુ સરકારે ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધુ હતું. જોકે કલમ હસન હવે ખુશ છે. તેમણે જણાવ્યું - તમામ મુશ્કેલીઓ છતાં મારી ફિલ્મ લોકો સુધી પહોંચી અને લોકોએ તેને પસંદ કરી. હું સૌનો આભાર વ્યક્ત કરુ છું. કમલ હસન હાલ પોતાની બીજી પુત્રી અક્ષરાની લૉન્ચિંગમાં વ્યસ્ત છે કે જેઓ ટુંકમાં જ ફિલ્મોમાં આવનાર છે.













Click it and Unblock the Notifications
