કોંકણા-રણવીર લેશે છુટાછેડા, બાળક અંગે વિવાદ
મુંબઈ, 7 જાન્યુઆરી : કરિશ્મા કપૂર બાદ ફરી એક વાર બૉલીવુડની વધુ એક હસીન જોડી જુદા પડવાની તૈયારી કરી રહી છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ નૅચરલ અભિનેત્રી કોંકણા સેન શર્મા અને ડિફરંટ હીરો રણવીર શૌરીની. તેમનું લગ્નજીવન ભંગાણના આરે છે. લાંબાગાળાથી બંને વચ્ચે અણબનાવના સમાચારો હતાં, પરંતુ લાગે છે કે બંનેએ હવે એક-બીજાથી જુદા પડી જવાનું નક્કી જ કરી લીધું છે, પરંતુ વિવાદ બાળકની કસ્ટડી અંગે ઊભો થયો છે. તે અંગે કહેવાય છે કે એ નક્કી થવું મુશ્કેલ છે કે બાળક હારૂન કોની પાસે રહેશે, કારણ કે બાળકને બંનેના પ્રેમની જરૂર છે. બાળક હજી ઘણું નાનું છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમાચાર આવ્યા હતાં કે કોંકણા અને રણવીર વચ્ચે બધુ સમસુથરું નથી ચાલી રહ્યું. બંને અલગ-અલગ રહે છે. કોંકણાના નજીકના મિત્રોનું માનીએ તો કોંકણા બાળક માટે પોતાનો સંબંધ બચાવવાનો પ્રયત્ન છેલ્લા ઘણાં વખતથી કરી રહ્યાં છે, પરંતુ હવે તેમના ધૈર્યે જવાબ આપી દીધો છે. તેથી તેમણે હવે રણવીરથી જુદા પડવાનું નક્કી કરી લીધું છે.
નોંધનીય છે કે વર્ષ 2010માં લાંબા સમય સુધી લિવ ઇન રિલેશનમાં રહેનાર કોંકણા અને રણવીરે અચાનક લગ્ન કરી લીધા હતાં. અચાનક થયેલ લગ્નથી સૌ આશ્ચર્યમાં હતાં. લગ્ન અંગેની માહિતી કોંકણાએ ટ્વિટર દ્વારા લોકોને આપી હતી. હજુ તો લોકો આ અચાનક થયેલ લગ્ન અંગે જ વિચારતા હતાં કે અચાનક બીજા સમાચાર આવ્યાં કે કોંકણાએ પુત્રને જન્મ આપ્યો છે. લોકોએ અટકળો લગાવી કે ક્યાંક બાળક જ તો રણવીર-કોંકણાના ઉતાવળિયા લગ્નનું કારણ તો નહોતું? ખેર સૌને એમ લાગ્યું કે બંને ખુશ છે, ત્યાં જ ફરી અચાનક ખબર આવી કે હવે બંને અલગ થવા માંગે છે.












Click it and Unblock the Notifications
