Kumar Vishwas On Sonakshi Sinha : સોનાક્ષી સિન્હા મુદ્દે કુમાર વિશ્વાસનો બફાટ, કોંગ્રેસ નેતાએ આકરો જવાબ આપ્યો
Kumar Vishwas On Sonakshi Sinha : નેતાગીરીમાંં નિષ્ફળ રહેલા કવિ કુમાર વિશ્વાસ હવે બીજેપીની મહેરબાનીથી રાજ્યસભા માટે રસ્તો તૈયાર કરવામાં લાગ્યા છે.
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ નરેન્દ્ર મોદીના ગુણગાન ગાઈને રાજનીતિનો રસ્તો બનાવી રહેલા કુમાર વિશ્વાસે હવે અભિનેત્રી સોનાક્ષી સિન્હાને લઈને બફાટ કર્યો છે.

કુમાર વિશ્વાસના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકો ખરીખોટી સંભળાવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ આકરા શબ્દોમાં કુમાર વિશ્વાસના બફાટનો જવાબ આપ્યો છે.
હાલમાં જ કુમાર વિશ્વાસે એક કાર્યક્રમમાં આંતરધર્મીય લગ્નને લઈને અભિનેત્રી સોનાક્ષી સિન્હાને નિશાન બનાવીને તેમની હલકી માનસિકતાનો પરિચય આપ્યો હતો. આ નિવેદન બાદ કુમાર વિશ્વાસ સોશિયલ મીડિયા સાથે સાથે મોટા નેતાઓના નિશાને છે.
ભારતના બંધારણ વિરૂદ્ધની માનસિકતાનો પરિચય આપતા કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, તમારા બાળકોને રામાયણ અને ગીતા વંચાવો. નહીં તો એવું ન બને કે તમારા ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરની શ્રી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય.
કુમાર વિશ્વાસે તેમની આ હલકી ટિપ્પણીમાં આડકતરી રીતે શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાના આંતર ધાર્મિક લગ્નને લઈને કરી હતી. સોનાક્ષી સિન્હાએ હાલમાં જ એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે અને શત્રુઘ્ન સિન્હાના મુંબઈના બંગલાનું નામ રામાયણ છે.
હવે કુમાર વિશ્વાસના બફાટનો કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે. સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પર લખ્યુ કે, કુમાર વિશ્વાસે માત્ર સોનાક્ષી સિન્હાના આંતર-ધાર્મિક લગ્ન પર સસ્તી ટિપ્પણી નથી કરી પરંતુ મહિલાઓ માટે તેમની વિચારસરણીને પણ ઉજાગર કરી છે.
સુપ્રિયા શ્રીનેતે કુમાર વિશ્વાસની ટિપ્પણી પર કહ્યું કે, શું છોકરી એવી વસ્તુ છે જેને કોઈ ઉપાડી લઈ જઈ શકે? તમારા જેવા લોકો ક્યાં સુધી સ્ત્રીને પહેલા તેના પિતા અને પછી તેના પતિની મિલકત માનતા રહેશે?
સુપ્રિયા શ્રીનેતે આગળ લખ્યુ કે, ન તો શત્રુઘ્ન સિંહા અને ન તો તેમની સફળ પુત્રી સોનાક્ષીને તમારા પ્રમાણપત્રની જરૂર છે, પરંતુ તમારાથી 17 વર્ષ નાની છોકરી પર તમારી ટિપ્પણી ચોક્કસપણે તમારી હલકી વિચારસરણીને ઉજાગર કરે છે.
સુપ્રિયાએ આગળ કહ્યું કે, તમને ચોક્કસપણે બે મિનિટની સસ્તી તાળીઓ મળી પરંતુ તમારું કદ જમીનમાં વધુ ધસી ગયું. તમારે તમારી ભૂલ સમજવી જોઈએ અને પિતા અને તેમની પુત્રી બંનેની માફી માંગવી જોઈએ.












Click it and Unblock the Notifications
