દુઆઓ રંગ લાવી, મનીષા ઉપર સફળ સર્જરી
મુંબઈ, 11 ડિસેમ્બર : ઓવેરિયન કૅંસરથી પીડાતાં બૉલીવુડના જાણીતા અભિનેત્રી મનીષા કોઈરાલા ઉપર સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી સોમવારે અમેરિકામાં ન્યુયૉર્ક ખાતેની એક જાણીતી હૉસ્પિટલમાં કરવામાં આવી હતી. આ સર્જરી બાદ હવે મનીષા અગાઉ કરતાં બહેતર અનુભવે છે.
મનીષાના મૅનેજર સુબ્રોતો ઘોષે મીડિયાને આ અંગેની માહિતી આપી હતી. ગત 28મી નવેમ્બરના રોજ મનીષા અચાનક બેભાન થઈ જતાં તેમને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં ટેસ્ટ કરાયા બાદ સમાચાર મળ્યાં કે મનીષાને ઓવેરિયન કૅંસર છે. જોકે મનીષાના પારિવારિક સભ્યોએ કે ડૉક્ટરોએ ક્યારે આ અંગે જાહેરમાં કઈ જણાવ્યુ નથી, પરંતુ નજીકના મિત્રો દ્વારા આ સમાચાર વહેતાં થયાં કે મનીષા કોઈરાલા ઓવેરિયન કૅંસરથી પીડાય છે.
પછી મનીષાને અમેરિકા લઈ જવામાં આવી અને ન્યુયૉર્ક ખાતે સર્જરી બાદ મનીષાની હાલતમાં સુધારો છે. હવે મનીષાના ફૅન્સે ખુશ થવું જોઇએ કે તેમના ઇલુ ઇલુ ગર્લ મનીષા હવે ખતરામાંથી ઉગરી ગયાં છે.