‘ભારત’ મનોજ કુમાર હૉસ્પિટલમાં દાખલ
મુંબઈ, 22 જુલાઈ : બૉલીવુડના દેશપ્રેમી એક્ટર મનોજ કુમાર બીમાર છે. તેમને કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બૉલીવુડમાં દેશપ્રેમની ફિલ્મો બનાવી ભારત કુમાર તરીકે જાણીતાં થયેલાં મનોજ કુમારને બે દિવસ અગાઉ કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ બૉલીવુડના અભિનેતા, નિર્માતા-દિગ્દર્શક મનોજ કુમારની તબીયત સ્થિર છે અને આજ-કાલમાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે.
મનોજ કુમાર સાથે સંકળાયેલા નજીકના સૂત્રે જણાવ્યું - મનોજ કુમારને બે દિવસ અગાઉ હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતાં અને હવે તેઓની તબીયત સારી છે. તેમને આજ-કાલમાં જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. મનોજ કુમારે પિત્તાશયમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. તે પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
મનોજ કમાર બૉલીવુડ જગતમાં ભારત કુમાર તરીકે જાણીતાં છે. તેમણે શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, યલગાર, શોર, રોટી કપડા ઔર મકાન તથા ક્રાંતિ જેવી ફિલ્મોમાં મહત્વના અને દેશભક્ત નાગરિકના રોલ કર્યાં છે.
મનોજ કુમાર તાજેતરમાં જ પ્રાણ સાહેબના નિધન દરમિયાન જાહેરમાં દેખાયા હતાં. ઉપરાંત તેઓ તાજેતરમાં જ શાહરુખ ખાન અભિનીત ઓમ શાંતિ ઓમમાં પોતાના અપમાન બદલ પણ ચર્ચામાં આવ્યા હતાં.