ભારતીય દર્શકો માટે ફિલ્મ બનાવવા માંગે છે મીરા નાયર
મુંબઈ, 16 માર્ચ : ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય ફિલ્મકાર મીરા નાયર ભારતમાં ભારતીય દર્શકો માટે ફિલ્મ બનાવવા માંગે છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમાં સમય લાગશે.
મીરા નાયરે ગુરુવારના રોજ ફિક્કી ફ્રેમ્સ 2013માં જણાવ્યું - હું શોધી રહી છું, પરંતુ કોઈ ઉતાવળ નથી. હું અહીં ફિલ્મ બનાવવા માંગીશ. મારા દર્શકો અહીં છે. સમારંભમાં મીરા નાયર ઝોયા અખ્તર સાથે હાજર હતાં. આ સમારંભમાં કાજોલ, કરણ જૌહર અને કરીના કપૂર જેવા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
નોંધનીય છે કે મીરા નાયરે તાજેતરમાં જ ધ રિલક્ટંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મ બનાવી છે. તેમણે મૉનસૂન વેડિંગ, સલામ બૉમ્બે તથા ધ નૅમસેક જેવી ફિલ્મો બનાવી છે.
મીરા નાયરનું કહેવું છે કે તેમની ફિલ્મોના પાત્રો જીવનમાં હારેલા લોકો નથી હોતા. તેમણે જણાવ્યું - મને જટિલ અને ગૂંચવણભર્યા પાત્રો પસંદ છે. હું લોકોને લોભામણી ફિલ્મો આપવા માંગુ છું.