મુકેશ અંબાણી ધ લાઇટ સ્વામી વિવેકાનંદ જોવા ઉત્સુક
મુંબઈ, 23 ઑગસ્ટ : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભાગ્યે જ કોઇક ફિલ્મ અંગે રસ લેતા હોય છે, પણ તેમણે સ્વામી વિવેકાનંદના જીવન પર બનેલી ફિલ્મ ધ લાઇટ સ્વામી વિવેકાનંદ જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ ફિલ્મ જોવા માટે ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપવાની ઇચ્છા દર્શાવી છે. તેથી અંબાણી બંધુઓ માટે ટુંકમાં જ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે.
સ્વામી વિવેકાનંદના જીવન ઉપર ફિલ્મ બનાવવાનો પ્રયત્ન પોતાની રીતે એક પડકાર છે અને નિર્માતા જે મિશ્રાએ આ પડકાર ઝીલી સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
તાજેતરમાં જ ગાંધીનગર ખાતે યોજાયેલ સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રિમંડળના સભ્યોએ આ ફિલ્મ જોઈ હતી અને મોદીએ જણાવ્યુ હતું કે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતીએ આ ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેમને મહાન શ્રદ્ધાંજલિ સમાન છે. તેમણે યુવાનોને આ ફિલ્મ જોવાની હાકલ પણ કરી હતી. એટલું જ નહીં નરેન્દ્ર મોદીએ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત પણ જાહેર કરી છે.
ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મ અંગે રુચિ લેનારાઓની યાદીમાં મુકેશ અંબાણી પણ જોડાઈ ગયાં છે. ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. ટ્રાયકલર પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડના બૅનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન ઉત્પલ સિન્હાએ કર્યું છે. ફિલ્મમાં દીપ ભટ્ટાચાર્ય સ્વામી વિવેકાનંદ બન્યાં છે.