નિશબ્દ બની અનેક સવાલ છોડી ગયાં જિયા ખાન
મુંબઈ, 4 જૂન : પુનઃ એક વાર ગ્લૅમરની દુનિયાની વરવી સચ્ચાઈ લોકો સામે આવી ગઈ છે અભિનેત્રી જિયા ખાનના મોત સ્વરૂપે. ગઈકાલે રાત્રે 11 વાગ્યે પંખા સાથે લટકી જિયા ખાન પોતાનીપાછળ ઘણાં બધા સવાલો છોડી ગયાં છે. જિયા ખાને કે જેમનું સાચુ નામ નફીસા ખાન હતું, ફિલ્મોમાં ભલે કંઈક ખાસ ન કર્યુ હોય, પણ મૉડેલિંગની દુનિયામાં તેઓ એક જાણીતુ નામ હતાં.
અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર જિયા ખાન આજે પોતે નિશબ્દ થઈ ગયાં છે. અમિતાભે ટ્વિટર પર લખ્યું - ક્યા જિયા... યકીન નહીં હોતા... વો ઐસા કૈસે કર સકતી હૈં. દિયા મિર્ઝાએ ટ્વિટ કર્યું - ક્યોં જિયા... તુમ તો બહુત ખૂબસૂરતથી... તુમને ઐસા ક્યોં કિયા? મહેશ ભટ્ટે જણાવ્યું કે તેઓ છેલ્લા કેટલાંક વખતથી પરેશાન હતાં, પણ કલ્પના નહોતી કે તેઓ આવું પગલું ભરી લેશે. જે થયું ખૂબ જ દુઃખદ છે.
નોંધનીય છે કે રામ ગોપાલ વર્માની નિશબ્દ ફિલ્મ દ્વારા પોતાના અભિનય કૅરિયરની શરુઆત કરનાર જિયા ખાને સોમવારે રાત્રે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે તેમનું શબ જુહૂ ખાતે આવેલ તેમના ઘરેથી રાત્રે 11 વાગ્યે કબ્જે કર્યું છે. જે માહિતી મળી છે, તે મુજબ જિયા ખાન છેલ્લા કેટલાંક વખતથી ડિપ્રેશનમાં હતાં.
જિયા ખાન જુહૂમાં પોતાના માતા સાથે સાગર સંગીત ઍપાર્ટમેંટના ફ્લૅટ નં. 102માં રહેતા હતાં. તેઓ માત્ર 25 વર્ષના હતાં. પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી. તેથી તેમના મોત અંગેનું રહસ્ય ઘેરાતું જાય છે. જિયા ખાને પોતાના કૅરિયર દરમિયાન માત્ર ત્રણ ફિલ્મોમાં કામ કર્યુ હતું. નિશબ્દમાં તેઓ અમિતાભ બચ્ચન સાથે હતાં, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી હતી. પછી આમિર ખાન સાથે ગઝની અને અક્ષય કુમાર સાથે હાઉસફુલ ફિલ્મોમાં દેખાયા હતાં. જોકે બંને ફિલ્મોમાં તેમના રોલ ખૂબ જ નાના હતાં. છતાં જિયા ખાન આ બંને ફિલ્મોને પોતાના કૅરિયરમાં મહત્વની માનતા હતાં.