રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર એસપી જનનાથનનું 61 વર્ષની ઉંમરે નિધન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર એસપી જનનાથનનું 61 વર્ષની ઉંમરે નિધન
રાષ્ટ્રીય પુરસ્કરા વિજેતા નિર્દેશક એસપી જનનાથનનું રવિવારે સવારે 10 વાગ્યે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. થોડા દિવસ પહેલાં તેઓ પોતાના ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. નિર્દેશક અરુમુગકુમાર મુજબ તેમને આજે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો જે બાદ તેમનું નિધન થયું.
એસપી જનનાથન તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી આદરણીય નિર્દેશકોમાંથી એક હતા. તેઓ 61 વર્ષના હતા અને હાલમાં જ પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધન પર વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ સંવેદના વ્યક્ત કરી છે.
નિર્દેશક અરુમુગકુમારે શોક વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું, "આપણા નિર્દેશક એસપી જનનાથન સર જેઓ ગંભીર હાલતમાં હતા અને અપોલો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો તેમનું આજે સવારે 10.07 મિનિટે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઈ ગયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે." જણાવી દઈએ કે પોતાના ઘરે બેભાન હાલતમાં મળ્યા તે પહેલાં તેઓ એક ફિલ્મ લાબામની એડિટિંગ કરી રહ્યા હતા જેમાં અભિનેતા વિજય સેતુપતિ અને શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકાઓમાં છે.
અભિનેતા જયમ રવિ જેમણે ફિલ્મ પેરાનમાઈમાં તેમની સાથે કામ કર્યું હતું, તેમણે પણ તેના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. ટ્વિટર પર નિર્દેશક જનનાથનની તસવીર શેર કરતા તેમણે લખ્યું, 'ભગવાન તમારી આત્માને શાંતિ આપે, તમે હંમેશા અમારી યાદોમાં રહેશો.'