આઈપીએલ 2માં અનિયમિતતા અંગે પ્રીતિની ઈડી પૂછપરછ
મુંબઈ, 6 માર્ચ : એન્ફોર્સમેંટ ડિપાર્ટમેંટ દ્વારા મંગળવારે બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની લાંબી પૂછપરછ કરવામાં આવી. ઇન્ડિયન પ્રીમિયર લીગની બીજી સીઝન એટલે કે આઈપીએલ 2 દરમિયાન કથિત રીતે થયેલી અનિયમિતતાઓ અંગે એન્ફોર્સમેંટ ડિપાર્ટમેંટ એટલે કે ઈડી દ્વારા પ્રીતિ ઝિંટાની કડક પૂછપરછ કરવામાં આવી.
મળતી માહિતી પ્રમાણે ઈડી દ્વારા પ્રીતિ ઝિંટાનું નિવેદન રેકૉર્ડ કરવામાં આવ્યું. પ્રીતિ ઝિંટા આઈપીએલ ફ્રેંચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક છે. ઈડીએ ગઈકાલે પ્રીતિ ઝિંટાની દસ કલાક કરતાં વધુ સમય સુધી પૂછપરછ કરી અને તેમનું નિવેદન નોંધ્યું. એક ઈડી અધિકારીએ જણાવ્યું કે ઈડી દ્વારા પ્રીતિ ઝિંટાને સમન મોકલવામાં આવ્યું હતું. કિંગ્સ ઇલેવન પંજાબમાં પ્રીતિના રોકાણ અંગે તેમની પૂછપરછ કરવામાં આવી.
ઈડી અધિકારીઓએ કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક પ્રીતિની આઈપીલીએ 2ના સંચાલનમાં કથિત ગેરરીતિઓ અંગે પણ પૂછપરછ કરી. અધિકારીઓએ પ્રીતિને એમ પણ પૂછ્યું કે તેમણે ફ્રેંચાઇઝીમાં રોકાણ માટે રકમ ક્યાંથી એકઠી કરી.
38 વર્ષીય બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પૂછપરછનો સામનો કરવા માટે ઈડી અધિકારીઓ સમક્ષ ગઈકાલે સવારે 10 વાગ્યે હાજર થયાં અને તેમનું નિવેદન લગભગ સાત કલાક સુધી નોંધવામાં આવ્યું. ઈડી એ બાબતની તપાસ કરી રહ્યું છે કે 2009માં આઈપીલીએ 2 માટે જ્યારે ભારતમાંથી સ્થળ બદલી દક્ષિણ આફ્રિકામાં આયોજન કરાયું, તો આ દરમિયાન કોઈ ફ્રેંચાઇઝીમાં મની લૉન્ડ્રિંગ દ્વારા નાણાં એકઠાં કરાયાં કે નહીં?