પ્રિયંકાના પિતા અશોક ચોપરાનું નિધન
મુંબઈ, 10 જૂન : નેશનલ ઍવૉર્ડ વિજેતા અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતા ડૉ. અશોક ચોપરાનું નિધન થઈ ગયું છે. તેઓ કૅંસરથી પીડાતા હતાં. તેમણે અહીંની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા.
મળતી માહિતી મુજબ પ્રિયંકા ચોપરાના પિતા અશોક ચોપરાને તાજેતરમાં જ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અશોક ચોપરા કૅંસરથી પીડાતા હતાં. થોડાંક વર્ષ અગાઉ જ તબીબોએ તેમને કૅંસર થયાનું નિદાન આપ્યું હતું. પપ્પાના લાડકડા પ્રિયંકા ચોપરા કે જેમણે પપ્પાના નામનું ટૅટૂ કોતરાવ્યુ હતું. અશોક ચોપરાની તબીયત ગત સપ્તાહે બગડી હતી.
જોકે પ્રિયંકા ચોપરા પોતાની આદત મુજબ ક્યારેય પોતાના પપ્પાની તબીયત અંગેની વાતો કોઈની સાથે શૅર કરતા નહોતાં. પ્રિયંકા ચોપરા સામાન્ય રીતે કામ કરી રહ્યા હતાં. તેઓ મૅરી કોમ ફિલ્મના રિહર્સલમાં પણ જતાં અને બાકીનો સમય પપ્પા માટે ફાળવતાં. છેલ્લા બે-ત્રણ દિવસથી પ્રિયંકા ચોપરા પોતાના પપ્પા સાથે ખડેપગે રહ્યા હતાં અને તેમણે પોતાના તમામ રિહર્સલ અને શૂટિંગ કાર્યક્રમો રદ્દ કરી નાંખ્યા હતાં.