વરસાદે રોક્યો વિદ્યાનો માર્ગ, ઘનચક્કરના પ્રમોશન ઉપર અસર
મુંબઈ, 17 જૂન : મુંબઈમાં ભારે વરસાદે ગઈકાલે વિદ્યા બાલનનો રસ્તો રોક્યો અને તેમને પોતાની ફિલ્મ ઘનચક્કરનું પ્રમોશન રદ્દ કરવુ પડ્યું.
ઇમરાન હાશમી તથા વિદ્યા બાલન અભિનીત ઘનચક્કર ફિલ્મ આગામી 28મી જૂને રિલીઝ થઈ રહી છે. રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે અને તે જ ક્રમે ગઈકાલે વિદ્યાએ મુંબઈના એક મૉલ ખાતે ફિલ્મના પ્રમોશન અર્થે જવાનુ હતું, પરંતુ ભારે વરસાદના પગલે વિદ્યાએ કાર્યક્રમ રદ્દ કરવું પડ્યું.
મળતી માહિતી મુજબ વિદ્યા બાલન તૈયાર થઈ ગયા હતાં મૉલમાં પહોંચવા માટે, પરંતુ ભારે વરસાદ અને અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે તેમનું સ્ટાફ તેમના ઘરે ન પહોંચી શક્યું અને તેથી પ્રમોશન કાર્યક્રમ રદ્દ કરવુ પડ્યું.
નોંધનીય છે કે ફિલ્મના દિગ્દર્શક પણ બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનના વખાણ કરતા નથી થાકતાં અને કહે છે કે તેઓ કામ પ્રત્યે સમ્પૂર્ણપણે સમર્પિત અભિનેત્રી છે કે જેના જેટલા વખાણ કરીએ, ઓછાં જ છે, પરંતુ અહીં વરસાદ આગળ વિદ્યા બાલન કદાચ મજબૂર હતાં.