રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ રિયાસત તેમના જન્મ દિવસે રિલીઝ થશે
મુંબઈ, 2 ઑક્ટોબર : બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ પોતાની યાદો અને ફિલ્મો દ્વારા તેઓ જરૂર આપણી વચ્ચે આજે પણ હાજર જ છે. સામાન્ય માણસની જેમ બૉલીવુડ પણ પોતાના કાકાને કાયમ માટેપોતાની યાદોમાં જીવિત રાખવા માંગે છે.
પોતાના કાકાને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા નિર્માતા-દિગ્દર્શક અશોક ત્યાગી પોતાની આવનાર ફિલ્મ રિયાસત કાકાના જન્મ દિવસે રિલીઝ કરશે. ત્યાગીએ આ વાત મીડિયા સાથેની વાતચીતમાં જણાવી. તેમણે જણાવ્યું, ‘આ જ મારી તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે. રિયાસત કાકાની છેલ્લી ફિલ્મ છે કે જેમાં તેમણે કામ કર્યુ હતું.'
આપને જણાવી દઇએ કે આગામી 29મી ડિસેમ્બરે રાજેશ ખન્નાની 70મી જન્મ જયંતી છે. ત્યાગીએ જણાવ્યું કે રિયાસત 29મી ડિસેમ્બર શનિવારના રોજ અથવા તો તેમના જન્મ દિવસની બરાબર એક દિવસ અગાઉ એટલે કે 28મી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે.
એટલું જ નહિં ત્યાગીએ એમ પણ જણાવ્યું કે રાજેશ ખન્નાએ ફિલ્મ યુનિટના નામે એક પત્ર પણ છોડ્યો છે. આ પત્ર અમે ફિલ્મ રિલીઝને વખતે જ ખોલીશું. અમને નથી ખબર કે તે પત્રમાં શું છે, પરંતુ તે પત્ર અમારા સૌને માટે એક આશીર્વાદ કરતાં ઓછો નથી.