નિરાશ ‘ઐય્યા’ માટે અપેક્ષાઓ ભરી ‘તલાશ’
મુંબઈ, 27 નવેમ્બર : રાણી મુખર્જીની તાજેતરમાં રિલીઝ થયેલ ઐય્યા ફિલ્મને ખાસ રિસ્પૉન્સ મળ્યો નહિં. રાણીનું આ અંગે કહેવું છે કે એક્ટર્સ વખાણના ભૂખ્યા હોય છે. ઐય્યા ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપ તેમજ દિગ્દર્શક સચિન કુંડલકર હતાં. સાથે જ રાણી સામે દક્ષિણ ભારતીય એક્ટર પૃથ્વીરાજ હતાં. રાણી એક મરાઠી યુવતીની ભૂમિકામાં હતાં કેજે મલયાલી યુવક સાથે પ્રેમ કરે છે, પરંતુ ફિલ્મ બૉક્સ ઑફિસે કઈં ખાસ ઉકાળી ન શકી. હવે 30મી નવેમ્બરના રોજ ફિલ્મ તલાશ રિલીઝ થનાર છે અને રાણી ઇચ્છે છે કે તલાશ ફિલ્મનો આ વર્ષની હિટ ફિલ્મમાં સમાવેશ થાય.
રાણી મુખર્જીએ ઐય્યાની નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું - વખાણ ત્યારે જ મળે છે કે જ્યારે લોકો ફિલ્મ જુએ. ઐય્યા જોવા લોકો આવ્યા નહોતાં. તે મારા માટે ખૂબ જ દુઃખની બાબત છે. એક્ટર કાયમ વખાણના ભૂખ્યાં હોય છે. જો અમારી ફિલ્મ કહેવાય, તો તેનો મતલબ હોય છે કે બહુ બધા લોકો ફિલ્મ જોવા ગયાં. આ વાતથી અમને ખુશી મળે છે. જે પળે અમને જાણવા મળે કે ફિલ્મ ફ્લૉપ થઈ છે, અમને એમ જ લાગે છે કે લોકો ફિલ્મ જોવા ગયા નહિં.
34 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું કે શક્ય છે કે ફિલ્મની વાર્તા જુદા-જુદા લોકોને જુદી-જુદી રીતે અસર કરતી હોય કે જે ફિલ્મની સફળતાનું સુચક છે.
રાણી મુખર્જીએ જણાવ્યું - ઐય્યા અંગે હું કહું, તો મને ફિલ્મની વાર્તા ખૂબ સારી લાગી હતી. ભલે આ ફિલ્મ મોટી સંખ્યામાં લોકોને ગમી ન હોય. અને કદાચ એટલે જ સફળ થઈ નહિં, પરંતુ લોકોએ મારા કામના વખાણ કર્યાં. મારો ડાંસ કાયમ લોકોને યાદ રહેશે. અત્યાર સુધી કોઇએ પણ મારી એક્ટિંગ વિશે કોઈ ઉણપ કાઢી નથી. કમ સે કમ લોકો એમ તો કહે છે કે રાણીની ફિલ્મ ભલે સારી ન ચાલી હો, પરંતુ રાણી બહેતરીન હતાં. હું તેને જ મેન્ટેન રાખવા માંગુ છું.
રાણીએ જણાવ્યું - એક્ટર પોતાની ફિલ્મની સફળતાને ક્યારેય માપી શકે નહિં. અમે સંત-ભગવાન નથી. અમે બેસીને એ ડિસાઇડ ન કરી શકીએ કે ફિલ્મ સફળ થશે કે નહિં. આ અમારા હાથની વાત નથી. દર્શકો જ રાજા છે અને તેઓ જ દર શુક્રવારે ડિસાઇડ કરે છે.