સલમાન ખાનની અરજી પર ચુકાદો 24મી સુધી ટળ્યો
મુંબઈ, 10 જૂન : મુંબઈની એક અદાલતે સોમવારે 2002ના હિટ એન્ડ રન કેસમાં મજિસ્ટ્રેટના ચુકાદાની વિરુદ્ધ સલમાન ખાન દ્વારા દાખલ કરાયેલ અરજી ઉપર ચુકાદો 24મી જૂન સુધી સ્થગિત કરી દીધો છે.
બૉલીવુડના દબંગ સલમાન ખાન માટે આજનો દિવસ કદાચ મુશ્કેલી ભર્યો હોત, પરંતુ મુંબઈમાં વરસાદના પગલે હાલ સલમાન ખાનની અરજી ઉપર ચુકાદો 24મી જૂન સુધી ટાળી દેવાયો છે. 2002ના હિટ એન્ડ રન કેસમાં મુંબઈની સત્ર અદાલત સલમાન ખાનની મજિસ્ટ્રેટ અદાલતના ચુકાદા વિરુદ્ધ દાખલ અપીલ ઉપર ચુકાદો સંભળાવવાની હતી.
મજિસ્ટ્રેટ અદાલતે વર્ષ 2002ના હિટ એન્ડ રન કેસ અંગે સલમાન ખાન વિરુદ્ધ ગેરઇરાદાપૂર્વક હત્યાના કેસમાં પુનઃ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતે. તે પછી ન્યાયાધીશ યૂ. બી. હેઝીબે એક માસ અગાઉ આ કેસમાં તમામ દલીલો પૂર્ણ થયા બાદ અપીલ ઉપર ચુકાદો સંભળાવવા માટે 10 જૂનની તારીખ નક્કી કરી હતી.
ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 304 મુજબ સલમાન ખાન સામે ગેરઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચાલી રહ્યો છે. ગંભીર આરોપની વિરુદ્ધ દલીલ આપતા સલમાનના વકીલે દલીલ કરી હતી કે મજિસ્ટ્રેટ અદાલતનો આદેશ કાયદેસર રીતે ખોટો અને રેકૉર્ડમાં નોંધાયેલ સાક્ષ્યની વિરુદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે મજિસ્ટ્રેટ આ વાતને સમજવામાં નિષ્ફળ રહ્યાં કે અભિનેતાનો ન તો ફુટપાથ પર સૂતા લોકોની હત્યાનો ઇરાદો હતો અને ન તો તેમને આ બાબતની માહિતી હતી કે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાથી એક વ્યક્તિનું મોત થઈ જશે અને ચાર જણાને ઈજા થશે.