સંજય દત્ત : કેવી રીતે નાયક બન્યો ખલનાયક ?
મુંબઈ, 21 માર્ચ : સુનીલ દત્ત અને નરગિસના નબીરા સંજય દત્ત અને તેમના પરિવાર ઉપર આજે વજ્રાઘાત થયો છે. 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને 5 વરસની સજા ફટકારી છે. જોકે તેઓને અગાઉ કાપેલી સજા બાદ કરી હજી સાડા ત્રણ વરસ જેલમાં રહેવું પડશે, પરંતુ એક વ્યસ્ત સ્ટાર માટે સાડા ત્રણ વરસનો મતલબ આખી કારકિર્દીનો જોખમ ગણી શકાય છે.
રૉકી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરનાર સંજય દત્તનો ઉછેર તો મુંબઈના નામચીન પાલી હિલ વિસ્તારમાં થયો, પરંતુ સંજય દત્તે અગાઉ જ કહ્યુ હતું - તેમની સોબત બીજાઓ કરતાં જુદી રહી.
સુનીલ દત્ત અને નરગિસ જેવા સ્ટારના પુત્ર સંજય દત્તે પ્રથમ ફિલ્મ રૉકી દ્વારા જ જોરદાર સફળતા મેળવી. પ્રથમ ફિલ્મની સફળતાના થોડાંક વર્ષ બાદ જ સંજય દત્ત ડ્રગ્સના બંધાણી બની ગયાં અને સંજય દત્તે આ બાબતનો સ્વીકાર કરી જણાવ્યું પણ હતું - તે સમયે કૅંસર સામે ઝઝૂમતાં તેમના માતા નરગિસની માંદગીની તેમના જીવન ઉપર ખાસી અસર પડી હતી. રૉકી રિલીઝ થતા અગાઉ તેમના માતાના અવસાને તેમને હચમચાવી નાંખ્યાં.
પુત્રને અવળા માર્ગથી પાછા વાળવા પિતા સુનીલ દત્તે જોરદાર પ્રયત્નો કર્યાં. તેઓ સંજયને ડ્રગ્સની ટેવમાંથી બહાર કાઢવા અમેરિકાના એક નશા નાબૂદી કેન્દ્ર લઈ ગયાં. લાંબી સારવાર બાદ સંજય દત્ત ડ્રગ્સની ટેવમાંથી મુક્ત થયાં અને પુનઃ બૉલીવુડમાં સક્રિય થયાં.
સંજય દત્તના અંગત જીવનમાં ભૂકમ્પ ત્યારે સર્જાયો કે જ્યારે તેમના પુત્રી ત્રિશલા દત્તના જન્મના થોડાંક જ દિવસ બાદ તેમના પત્ની ઋચાને બ્રેન કૅંસર થઈ ગયું. ઋચાની પણ અમેરિકાના ન્યુયૉર્ક શહેરમાં એક લામ્બી સારવાર થઈ, પણ સંજયની કિસ્મતે સાથ ન આપ્યો અને ઋચાનું મોત થઈ ગયું.
માતાના મોતના આઘાતમાંથી માંડ ઉગરેલા સંજય દત્ત પત્નીના મોતથી પુનઃ આઘાતમાં સરી પડ્યાં. જોકે ધીમે-ધીમે તેઓ તેમાંથી બહાર આવ્યાં અને બૉલીવુડમાં પુનઃ પગ જમાવવાના પ્રયાસો કર્યાં. 1989થી 1993 દરમિયાન સંજય દત્તે એક પછી એક હિટ ફિલ્મો આપી. તેમાં થાનેદાર, સાજન, સડક તથા ખલનાયકનો સમાવેશ થાય છે.
બધુ સમસુથરું ચાલતુ હતું, પરંતુ તેમની દુનિયા ત્યારે અચાનક બદલાઈ ગઈ કે જ્યારે 1993ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં તેમનું નામ આવ્યું અને મૉરેશિયસમાં આતિશ ફિલ્મનું શૂટિંગ થોભાવી તેમને પૂછપરછ માંટે મુંબઈ બોલાવાયાં. સંજય દત્તની ઍરપોર્ટે જ ધરપકડ કરી લેવાઈ. પૂછપરછ દરમિયાન સંજય દત્તે કથિત રીતે સ્વીકાર્યુ હતું કે જાન્યુઆરી-1992માં મૅગ્નમ વીડિયો કમ્પનીના માલિકો સમીર હિંગોરા તથા હનીફ કડાવાલા સાથે અબુ સલેમ તેમના ઘરે આવ્યો હતો. આ ત્રણેય માફિયા ડૉન દાઉદ ઇબ્રાહીમના નજીકના માણસો ગણાતા હતાં અને મુંબઈ હુમલાની સાજિશ રચવાનો આરોપ દાઉદ પર હતો.
જોકે કેસની સુનાવણી દરમિયાન સંજય દત્તે પોતાનું કબૂલાતનામું ફેરવી નાંખ્યું. સંજયે અગાઉ પોતાના નિવેદનમાં કથિત રીતે સ્વીકાર્યુ હતું કે તેમણે ત્રણે વ્યક્તિઓ પાસેથી એક એકે 56 રાયફલ લીધી હતી, કારણ કે મુંબઈમાં થયેલ રમખાણો બાદ તેમના પરિવારને ધમકીઓ મળતી હતી અને તેમને તેમની સલામતીની ચિંતા હતી. સંજય દત્તે કથિત રીતે એમ પણ સ્વીકાર્યુ હતું કે જ્યારે મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ થયાં, ત્યારે તેઓ વિદેશમાં હતાં અને તેમણે પોતાના મિત્ર યુસુફ નલવાળાને તે રાયફલ નષ્ટ કરવા માટે કહ્યું હતું. આ નિવેદન બાદ સંજય દત્તને કસ્ટડીમાં લેવાયાં અને તેમની સામે ટાડા હેઠળ કેસ ચલાવાયો હતો. તે પછીના 18 માસ સંજય દત્તે જેલમાં ગાળવા પડ્યા હતાં અને પછી તેમના જામીન મળ્યા હતાં. તે વખતે પણ સંજય દત્ત ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેંકડો રુપિયા દાવ ઉપર લાગેલા હતાં. તેઓ તે વખતે બૉલીવુડના ટૉપ સુપરસ્ટાર ગણાતા હતાં. હાલ પણ સંજય દત્ત ઉપર ઇન્ડસ્ટ્રીના લગભગ 1000 કરોડ રુપિયા દાવ ઉપર લાગેલાં છે.
તે વખતે જામીન પર છુટ્યાના થોડાંક દિવસ બાદ જ સંજય દત્તે પુનઃ પોતાના કૅરિયર ઉપર ધ્યાન આપ્યું અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. તેમને એક મોટી રાહત 2006માં ત્યારે મળી કે જ્યારે ટાડા અદાલતે ચુકાદો આપ્યો કે સંજય દત્ત એક આતંકવાદી નથી અને તેમણે પોતાના ઘરમાં ગેરકાયદે રીતે રાયફલ પોતાની સલામતી માટે રાખી હતી. પછી તેમની સામે ટાડાના આરોપ હટાવી લેવાયાં અને તેમને આર્મ્સ એક્ટ હેઠળ છ વરસની સજા કરવામાં આવી. થોડાંક દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન મળી ગયાં અને લગભગ છ વરસથી તેઓ જામીન પર મુક્ત હતાં. હવે સુપ્રીમ કોર્ટે સજા ટુંકાવી જરૂર છે, પરંતુ તેમને છતાં સાડા ત્રણ વરસ સુધી જેલમાં જવાની નોબત આવી છે.