‘સત્યના પ્રયોગો’ના ઉદાહરણથી શરૂ થશે સત્યાગ્રહ
મુંબઈ, 15 મે : ફિલ્મકાર પ્રકાશ ઝા રાજકીય વિષય પર આધારિત પોતાની આગામી ફિલ્મ સત્યાગ્રહની શરુઆત મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોના એક ઉદાહરણથી કરશે. આ ફિલ્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મધ્યમ વર્ગના બળવા ઉપર આધારિત છે.
મળતી માહિતી પ્રમાણે સત્યાગ્રહ ફિલ્મ ગાંધી ઉપર આધારિત છે અને પ્રકાશ ઝા મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો (માય એક્સપેરિમેંટ વિથ ટ્રુથ)ના એક ઉદાહરણ સાથે ફિલ્મની શરુઆત કરવાનું આયોજન કરી રહ્યાં છે. જોકે હજી કંઈ નક્કી થયું નથી.
જો સૂત્રોની માનીએ અને પ્રકાશ ઝાનું આયોજન પાર પડે, તો અમિતાભ બચ્ચનને આ ઉદાહરણ માટે અવાજ આપવાનું પ્રકાશ ઝા કહેશે અથવા માત્ર પડદા ઉપર તેને દર્શાવી શકે છે.
સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. અણ્ણા હઝારને આંદોલનથી પ્રેરિત ફિલ્મમાં અજય દેવગણ, અર્જુન રામપાલ, મનોજ બાજપાઈ, કરીના કપૂર તથા અમૃતા રાવ પણ છે. ફિલ્મ 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે.