પ્લીઝ! મારા અંગત જીવન અંગે વાતો ન કરો : શાહરુખ
મુંબઈ, 11 માર્ચ : બૉલીવુડ હસ્તીઓ અંગે જાણવાની લોકોને ખાસ આતુરતા રહે છે અને તેમાં પણ શાહરુખ ખાન વિશેની વાતો તો લોકો ધ્યાનથી સાંભળે-વાંચે છે, પરંતુ પોતે શાહરુખને આ બાબત પસંદ નથી.
શાહરુખ ખાને તાજેતરમાં મહિલા દિવસે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. પત્ની ગૌરી ખાન સાથેના સંબંધો અંગે પૂછવામાં આવતાં શાહરુખ ખાને જણાવ્યું કે તેઓ પોતાના અંગત જીવન અંગે કોઈની સાથે કોઈ વાત કરવા નથી માંગતાં. તેમને પુછાયુ હતું કે પત્ની ગૌરીના કારણે તેમના જીવનમાં કયા-કયા પરિવર્તનો આવ્યાં, કારણ કે શાહરુખના જીવનમાં હંમેશા તેમના પત્ની ગૌરી અને પુત્રી સુહાના સૌથી મહત્વપૂર્ણ રહ્યાં છે.
શાહરુખ ખાને આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું - હું પોતાના અંગત જીવન વિશે વાત કરવાનું ટાળુ છું. તેથી હું આ સવાલનો જવાબ નહીં આપી શકું, પરંતુ હા અમારું જીવન ખૂબ જ બહેતરીન છે. મારા લગ્નને 21 વર્ષ થઈ ચુક્યાં છે અને મારા બે ખૂબ જ વહાલા બાળકો પણ છે. એક સામાન્ય પરિવારની જેમ અમે પણ રહીએ છીએ. જો હું આના કરતા વધુ કહું, તો એમ લાગશે કે હું પોતાના અંગત જીવન અંગે વધુ પડતું બોલુ છું અને લોકોમાં ગેરસમજ પેદા થશે. તેથી મને દુઃખ પહોંચશે.