અભિજીતના વિવાદમાં સોનુ નિગમે ટ્વીટરને કહ્યું અલવિદા
અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકોઉન્ટ સસ્પેન્ડ થયા બાદ સોનુ નિગમે રોષ વ્યક્ત કરતાં એક પછી એક 24 ટ્વીટ કરી આખરે ટ્વીટર છોડી દીધું છે.
મંગળવારે ટ્વીટર ઇન્ડિયા દ્વારા સિંગ અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ સોનુ નિગમે ટ્વીટર છોડી દીધું છે. અભિજીતે અરુંધતિ રોય તથા જેએનયુ નેતા શેહલા રશિદ માટે અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ટ્વીટર ઇન્ડિયા દ્વારા તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
આ આખા વિવાદમાં સોનુ નિગમે ઝંપલાવતાં તેમણે ટ્વીટર છોડી દીધું છે. સોનુ નિગમે બુધવારે સવારે ટ્વીટર છોડતાં પહેલાં 24 ટ્વીટ કર્યાં છે, જેમાં પહેલાં જ ટ્વીટમાં તેમણે મીડિયા અને પોતાના ફોલોઅર્સને પોતાના ટ્વીટના સ્ક્રિનશોટ લેવા જણાવી દીધું હતું, ત્યાર બાદ તેમણે એક પછી એક 24 ટ્વીટ કરી આ માઇક્રો-બ્લોગિંગ સાઇટને અલવિદા કહી દીધું છે.
તેમણે પોતાના ટ્વીટ્સમાં કહયું છે કે, તેઓ ટ્વીટર એકાઉન્ટ ડીલિટ કરી રહ્યાં છે કારણ કે, ટ્વીટર વન-સાઇડેડ છે અને અહીં સમજદારીપૂર્ણ ડિસ્કશનને કોઇ અવકાશ નથી. તેમનું કહેવું છે કે, જો અભિજીતનું એકાઉન્ટ તેમની અભદ્ર ભાષાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય તો આ રીતે તો 90 ટકા ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા જોઇએ. સાથે જ તેમણે કહ્યું હતું કે, હું માનું છું કે અભિજીતની ભાષા વાંધાજનક હોય શકે છે, પરંતુ લાખો ટ્વીટર યૂઝર્સ આવી ભાષાનો ઉપયોગ કરે છે, એમને કોઇ કંઇ નથી કહેતું. આ સાથે જ તેમણે પરેશ રાવલનું ઉદાહરણ પણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ પરેશ રાવલે લેખિકા અને રાજકીય કાર્યકર્તા અરુંધતી રોય પર નિશાન સાધતાં ટ્વીટ કર્યું હતું કે, કાશ્મીરના પથ્થરબાજોની જગ્યાએ અરુંધતી રોયને સેનાની જીપ સાથે બાંધો.