નિત્યા મેનનનો ચોંકાવનારો ખુલાસો, મા કેન્સર સામે લડી રહી હતી અને એ 6 વર્ષ સુધી કરતો રહ્યો હેરેસમેન્ટ
મિશન મંગલ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર તમિલ અભિનેત્રી નિત્યા મેનને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે કોઈ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ્યાં દરરોજ કોઈને કોઈ રહસ્યો સામે આવતા હોય છે. મિશન મંગલ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર તમિલ અભિનેત્રી નિત્યા મેનને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ ફિલ્મ સમીક્ષક પર તેને માનસિક રીતે હેરાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ કહ્યુ કે તે વ્યક્તિ તેને 6 વર્ષ સુધી હેરાન કરતો રહ્યો. તે વ્યક્તિના કારણે માત્ર તેને જ નહીં પરંતુ તેના પરિવારને પણ તકલીફ પડી હતી.
અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો
બેંગલુરુમાં જન્મેલી મલયાલમ અભિનેત્રી નિત્યા મેનને સંતોષ વાર્કે નામના ફિલ્મ વિવેચક પર ગંભીર આરોપો લગાવ્યા છે. નિત્યાએ એક ઈન્ટરવ્યુમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. નિત્યાએ કહ્યુ કે સંતોષ વાર્કે નામનો વ્યક્તિ તેને 6 વર્ષથી હેરાન કરતો રહ્યો. તેણે કહ્યુ કે તેની માતા કેન્સર સામે ઝઝૂમી રહી હતી તે દરમિયાન તે વ્યક્તિ તેને હેરાન કરતો રહ્યો. તે દાવો કરે છે કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ તે બધુ ખોટુ છે. તે બધાની સામે જાહેરમાં મારા માટે આ રીતે બોલે છે.
30 નંબર કર્યા બ્લૉક
નિત્યાએ જણાવ્યુ કે તે તેને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો. તેણે 30થી વધુ નંબર બ્લોક કર્યા પરંતુ તેણે તેમના પરિવારના સભ્યોને ફોન કરવાનુ શરૂ કર્યુ. નિત્યાએ કહ્યુ કે જ્યારે આ બધુ શરૂ થયુ ત્યારે મારી માતા કેન્સર સામે લડી રહી હતી પરંતુ તેણે હેરાન કરવાનુ છોડ્યુ નહિ. તેણે કહ્યુ કે છેલ્લા 6 વર્ષથી સંતોષ તેને માનસિક રીતે પરેશાન કરી રહ્યો છે. તે મને પ્રેમ કરે છે તેમ કહીને મને હેરાન કરે છે એટલુ જ નહિ મારી બદનામી પણ કરવામાં આવી રહી છે.
હેરાન કરવાની હદ પાર કરી
નિત્યાએ કહ્યુ કે બધા મને કહેતા રહ્યા કે મારે પોલિસમાં ફરિયાદ કરવી જોઈએ પરંતુ હું અત્યાર સુધી માત્ર એને એટલા માટે છોડી દેતી કારણ કે કોઈની જિંદગી બગડે પણ હવે હું પણ થાકી ગઈ છુ. જો તે આ બધુ બંધ નહિ કરે તો ટૂંક સમયમાં હું પોલિસમાં કેસ કરીશ. બીજી તરફ, સંતોષ વાર્કેએ નિત્યાના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યુ કે તે ખોટુ બોલી રહી છે. સંતોષે કહ્યુ કે નિત્યા મને ફસાવવા માટે મારી સામે યૌન શોષણનો કેસ દાખલ કરવા જઈ રહી છે. હું કોઈના જીવનમાં દખલ કરતો નથી. વાયરલ ફિલ્મ સમીક્ષકે કહ્યુ કે જો મને ખબર હોત કે નિત્યા અને તેનો પરિવાર આવો છે તો હું તેના પ્રેમમાં ન પડત.