પૂનમ બાદ સન્ની પણ પહોંચ્યાં સિદ્ધિ વિનાયકના શરણે
મુંબઈ, 16 જાન્યુઆરી : પોર્ન સ્ટાર સન્ની લિયોનનો જલવો જળવાયેલો છે, પરંતુ લાગે છે કે તેમની ઉપર પણ બિકિની ગર્લ પૂનમ પાન્ડેની અસર થઈ ગઈ છે. તેથી જ હવે તેઓ પણ પૂનમની જેમ મંદિરોના ચક્કર લગાવી રહ્યાં છે. જિસ્મ 2 ફિલ્મની નિષ્ફળથાથી પરેશાન સન્ની લિયોન હવે કોઈ પણ કિંમતે ફ્લૉપ થવા નથી માંગતાં. તેથી તેઓ ઉપરવાળાની શરણે ગયાં છે.
તાજેતરમાં જ સન્ની લિયોન મુંબઈ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરની વિશેષ આરતીમાં હાજર રહ્યાં. તેમણે મન મુકીને પૂજા-પાઠ કર્યાં. આ ખાસ આરતી સન્નીની આવનાર ફિલ્મ રાગિણી એમએમએમસ 2ના નિર્માતા એકતા કપૂરે યોજી હતી. તેમાં મુખ્યત્વે સન્ની હાજર રહ્યાં. સન્નીનું આ ધાર્મિક રૂપ જોઈ અનાયાસે જ પૂનમ પાન્ડે યાદ આવી ગયાં કે જેઓ ગણેશ મહોત્સવમાં સાડી પહેરી આરતી કરતા દેખાયા હતાં. પૂનમના આ શ્રદ્ધાળુ સ્વરૂપના તરત બાદ સમાચાર આવ્યાં કે પૂનમ પાન્ડેને ફિલ્મ મળી ગઈ છે.
કદાચ એવી જ સફળતાની આશાએ સન્ની લિયોન પણ બાપ્પાના શરણે પહોંચ્યા હશે. જોકે સન્નીએ દાવો કર્યો છે કે રાગિણી એમએમએસ 2 જરૂર હિટ થશે. ફિલ્મના ગીતો અને વાર્તા ખૂબ સારાં છે કે જે લોકોને ગમશે. મંદિર અંગે સન્નીએ જણાવ્યું કે મંદિરની મુલાકાત એક સુંદર અને અલૌકિક અનુભવ છે કે જે તેમના હૃદયને સ્પર્શી ગયો. તેઓ વારંવાર આ મંદિરે આવવા માંગશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010ની સફળ ફિલ્મ રાગિણી એમએમએમસના પાર્ટ 2માં સન્ની લિયોન લીડ રોલ કરી રહ્યાં છે. ફિલ્મના દિગ્દર્શક ભૂષણ પટેલ છે અને નિર્માતા એકતા કપૂર. સન્નીએ આ અગાઉ પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2માં કામ કર્યુ હતું કે જેને અમિત સક્સેનાએ દિગ્દર્શિત કર્યુ હતું, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી હતી.