સો કરોડનો ધંધો બની ગઈ છે ફિલ્મો : ભૈયાજી સુપરહિટ
મુંબઈ, 3 એપ્રિલ : બૉલીવુડના ભૈયાજી સુપરહિટ સન્ની દેઓલનું કહેવું છે કે તેઓ નંબરોની રેસમાં ક્યારેય વિશ્વાસ નથી કરતાં. આપના મનમાં પ્રશ્ન ઊભો થયો હશે કે અમે સન્ની સાથે ભૈયાજી સુપરહિટ કેમ જોડી રહ્યાં છીએ?
ભૈયાજી સુપરહિટ સન્ની દેઓલની આગામી ફિલ્મનું નામ છે. નીરજ પાઠક દિગ્દર્શિત ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં સન્ની દેઓલ ઉપરાંત તુષાર, અરશદ વારસી, પ્રકાશ રાજ તથા અમીષા પટેલ પણ છે.
છેલ્લા 30 વરસથી ફિલ્મોમાં સક્રિય અભિનેતા સન્ની દેઓલે જણાવ્યું કે આજે લોકો કામની ક્વૉલિટી ઉપર ધ્યાન નથી આપતાં. આજે સૌનું ધ્યાન માત્ર ફિલ્મની કમાણી ઉપર હોય છે. અરે ફિલ્મો અગાઉ પણ સો કરોડની કમાણી કરતી હતી, પરંતુ આટલો બધો હોબાળો નહોતો થતો. સન્ની દેઓલે જણાવ્યું કે અગાઉ લોકો ફિલ્મો મનોરંજન માટે બનાવતા હતાં. આજે તો આ બિઝનેસ બની ગઈ છે.
નોંધનીય છે કે સન્ની દેઓલની ટુંકમાં જ આઈ લવ એનવાય ફિલ્મ રિલીઝ થવાની છે કે જેમાં તેમની સાથે પ્રથમ વાર કંગના રાણાવત આવી રહ્યાં છે. તે પછી તેઓ સાક્ષી તંવર સાથે મોહલ્લા અસ્સી ફિલ્મમાં આવી રહ્યાં છે. ઉપરાંત સન્ની દેઓલ પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ યમલા પગલા દીવાના 2માં પણ આવવાના છે. ઉપરાંત ભૈયાજી સુપરહિટમાં પણ તેઓ કામ કરી રહ્યાં છે.
બૉલીવુડના શર્મિલા કલાકાર તરીકે જાણીતાં સન્ની દેઓલ પોતાના બિંદાસ્ત બોલ માટે પણ જાણીતા છે. સન્નીને દામિની ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ પણ મળી ચુક્યો છે.