ટાઇગર દત્તક લઈ કાળિયારનો કલંક ભુંસશે ટાઇગર?
મુંબઈ, 9 ઑક્ટોબર : ચોંકી ગયા ને? અમે પણ દંગ રહી ગયા હતાં કે જ્યારે અમે સાંભળ્યું હતું, પણ આ વાત સાચી હોઈ શકે છે. હકીકતમાં વાત જાણે એમ છે કે બૉલીવુડના ટાઇગર એટલે કે સલમાન ખાનને જીવતો-જાગતો ટાઇગર દત્તક લેવાનું કહેવામાં આવ્યું છે અને આ વાત કહી છે લખનૌ ઝૂના નિયામક રેણુ સિંહે.
તેમણે અભિનેતા સલમાન ખાનને એક પત્ર લખી પ્રાર્થના કરી છે કે તેઓ ટાઇગરને દત્તક લઈ લે. રેણુ સિંહે લખ્યું છે, ‘સલમાન આપની એક થા ટાઇગર ફિલ્મે તો સફળતાના રેકૉર્ડ બનાવ્યાં છે અને આપે ટાઇગર બની મોટું નામ પણ કમાવ્યું છે. તે જોતા મને લાગે છે કે આપે સાચે જ એક ટાઇગર દત્તક લેવો જોઇએ.'
જોકે અત્યાર સુી સલમાનનો કોઈ જવાબ નથી આવ્યો, પરંતુ રેણુ સિંહને આશા છે કે સલમાન આ વાત માટે જરૂર હા કરશે.
જો એવું થાય તો સલમાન ખાનના માથેથી પેલુ કલંક પણ ભુંસાઈ જશે કે જે એમ કહે છે કે તેઓ જંગલી પ્રાણીઓનો માત્ર શિકાર કરી શકે છે. તેમને જીવનદાન નથી આપી શકતાં.
નોંધનીય છે કે સલમાન વિરુદ્ધ કાળિયારના શિકારનો કેસ ચાલી રહ્યો છે. તેને માટે તેમને સમાયંતરે રાજસ્થાનની અદાલતમાં રજુ થવા પણ જવું પડે છે. આપને એ પણ જણાવી દઇએ કે લખનૌ પ્રાણી સંગ્રહાલયમાંથી અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ દીપડો દત્તક લીધો હતો.