ઘનચક્કર માટે સુવર્ણ મંદિરમાં અરદાસ કરતાં વિદ્યા
મુંબઈ, 26 જૂન : વિદ્યા બાલન લગ્ન બાદ આવી રહેલી પોતાની પ્રથમ ફિલ્મ ઘનચક્કરના પ્રમોશન માટે પૂરા ઘનચક્કર બની ગયા બાદ હવે ઈશ્વરના શરણે પહોંચ્યાં છે. વિદ્યાએ તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે જઈ સુવર્ણ મંદિરમાં ખાસ અરદાસ કરી અને ઘનચક્કરની સફળતા માટે દુઆ માંગી.
રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે અને વિદ્યા તથા તેમના કો-સ્ટાર ઇમરાન હાશમીએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ છોડી નથી. તેમણે વિવિધ ટેલીવિઝન શોમાં ફિલ્મનું પ્રમોશન કર્યું, તો વિવિધ હોટેલ અને મૉલ્સમાં જઈને પણ પોતાની આ ફિલ્મનું પ્રચાર કર્યું.
દરમિયાન વિદ્યા બાલન તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે આવેલ સુવર્ણ મંદિર પહોંચ્યાં. વિદ્યાએ સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું અને ઘનચક્કર ફિલ્મની સફળતા માટે અરદાસ કરી.
વિદ્યા-ઇમરાન પહેલી વાર કૉમેડી ફિલ્મમાં આવી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા વિદ્યાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર છે. ઇમરાન હાશમી અગાઉ મર્ડર, ઝહર, કલયુગ, ગૅંગસ્ટર, ઝન્નત, રાઝ દ મિસ્ટ્રી કંટીન્યૂઝ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા ઝન્નત 2માં નેગેટિવ રોલમાં દેખાઈ ચુક્યાં છે. બીજી બાજુ વિદ્યા બાલન પણ કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ગંભીર ફિલ્મો કરી ચુક્યાં છે. બંનેની આ પ્રથમ કૉમેડી ફિલ્મ ઘનચક્કર આવી રહી છે.