જયસવાલ સાથે લગ્ન અંગેના પોસ્ટરથી ભડકી રાખી
કાનપુર, 6 ઑક્ટોબર : કેન્દ્રીય કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસવાલની અભદ્ર ટિપ્પણી અંગે સમગ્ર દેશમાં નારાજગી છે. ક્યાંક તેમના પૂતળા બાળવામાં આવી રહ્યાં છે તો ક્યાંક તેમની નનામી કાઢવામાં આવી રહે છે. પરંતુ ગુરુવારે કાનપુર ખાતે જે પ્રકારે આશ્ચર્યજનક રીતે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેનાથી રાખી સાવંત ભડકી ગઈ છે.
મહિલાઓ અંગે કરાયેલ અભદ્ર ટિપ્પણી સામે નારાજ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકરોએ એક મોટા હોર્ડિંગ ઉપર જયસવાલ અને આઇટમ ગર્લ રાખી સાવંતને એકબીજાને વરમાળા પહેરાવતાં દર્શાવાયા. આ હોર્ડિંગ ઉપર લખ્યુ હતું, ‘નઈ શાદી, નયા મજા.' કાર્યકરોએ આ હોર્ડિંગ સાથે સમગ્ર શહેરમાં જયસવાલની જાન કાઢી.
ભારતીય જનતા યુવા મોર્ચાના આવા વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ ડ્રામા ક્વીન રાખી સાવંત ભડકી ગઈ. રાખીએ મીડિયા સામે આવી મોર્ચાના નેતા શ્રી કૃષ્ણની ઘોર ટીકા કરી હતી. રાખીએ ભાજપના યુવા નેતાઓ પાસે માફી માંગવાની માંગણી કરી અને જણાવ્યું કે તેઓ જયસવાલનાં લગ્ન તેમના પક્ષની મહિલા નેતાઓ સ્મૃતિ ઈરાની અથવા હેમા માલિની સાથે પણ કરાવી શકતા હતાં.
નોંધનીય છે કે આ પ્રદર્શનને અંતે હોર્ડિંગ પર ચોંટાડેલ જયસવાલના પોસ્ટર ઉપર કાળું પોતવામાં આવ્યું અને તેને આગને હવાલે કરી દેવાયું. નોંધનીય છે કે જયસવાલે તાજેતરમાં જ એક કવિ સમ્મેલનમાં જણાવ્યુ હતું, ‘જીત અને સ્ત્રી જ્યાં સુધી નવી રહે, ત્યાં સુધી મજા રહે છે. જેમ પત્ની જ્યારે જુની થઈ જા તો મજા જતી રહે છે, તેમ જીત જુની થતાં થાય છે.' આ નિવેદન બાદ હોબાળો થતાં કોલસા પ્રધાનની અક્કલ ઠેકાણે આવી ગઈ અને તેમણે પોતાનું નિવેદન પાછુ ખેંચી માફી પણ માંગી લીધી.