અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ પર આઈટીના દરોડામાં મળ્યા 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ
અમદાવાદમાં પણ 3 જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગના દરોડા પડી રહ્યા છે. અમદાવાદમાં પણ 3 જાણીતા બિલ્ડર જૂથ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. હાલમાં તેમની ઑફિસ સહિત રહેઠાણ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધી 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા છે. હાલ સમગ્ર બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદના 3 જાણીતા બિલ્ડર જૂથ શિવાલિક, શિલ્પ, શારદા પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના 150 અધિકારીઓ આ ઓપરેશનમાં કાર્યરત હતા. દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને 20 બેંક લૉકર સીલ કરવામાં આવ્યા. બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આઈટી અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યા છે.
આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રાહક બનીને બિલ્ડર્સની ઑફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા. આ બિલ્ડર જૂથો અનેક રેસિડેન્શિયલ અને કૉમર્શિયલ સ્કીમ બનાવીને કરોડો કમાવા છકાં સરકારને ટેક્સ ચૂકવતા ન હતા. મોટાભાગના ગ્રાહકો પાસેથી 90 ટકા રકમ રોકડ લઈને 10 ટકા રકમના જ દસ્તાવેજ બનાવતા હતા. શિવાલિક બિલ્ડરમાં તો કેટલાક આઈએએસ અધિકારીઓનુ પણ બેનામી રોકાણ હોવાની ચર્ચા છે.