અમદાવાદઃ ગળાફાંસો ખાઈ પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો
અમદાવાદઃ ગળાફાંસો ખાઈ પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો
અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા એક શખ્સે ગુરુવારે સેટેલાઈટ સ્થિત પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતકની ઓળખ વિશાલ ડાભી (ઉં.વ. 28) તરીકે થઈ છે, જેઓ મૂળ અમદાવાદના ધંધૂકાના રહેવાસી છે.
જણાવી દઈએ કે વિશાલ ડાભી સેટેલાઈટ વિસ્તારમાં આવેલ પ્રેરણાતીર્થ જૈન ટેમ્પલ પાસે આવેલા શુભદર્શન અપાર્ટમેન્ટમાં રહેતો હતો, તેમની સાથે અન્ય ત્રણ મિત્રો પણ ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસે જણાવ્યા મુજબ ગુરુવારે બપોર પછી તેમના એક રૂમ મેટે કોલ કર્યો હતો પણ વિશાલ ડાભીએ ફોન ઉઠાવ્યો નહિ, જેથી તેનો રૂમ મેટ બપોર પછી 3.30 વાગ્યાની આસપાસ તેમના ફ્લેટે પહોંચ્યો.
વિશાલ ડાભીના રૂમમેટે દરવાજો તોડીને અંદર ઘૂસ્યો તો વિશાલ ડાભી પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો. તેણે આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી જાણકારી આપી અને 4 વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને કબ્જામાં લીધો.
પોલીસના સૂત્રોએ જણાવ્યું કે વિશાલ ડાભી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતા. પોલીસને ફ્લેટમાંથી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ અન્ય સાહિત્ય મળ્યાં નથી કે જેનાથી આત્મહત્યાનું કારણ જાણી શકાય.
વિશાલ ડાભી 2013માં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયો હતો, વસ્ત્રાપુર પોલીસમાં પોસ્ટિંગ થતાં પહેલાં વિશાલ ડાભી અમદાવાદ રૂરલ પોલીસમાં ફરજ બજાાવતો હતો. પરિવારમાં તેમને એક બહેન અને માતા છે અને આખા પરિવારમાં એકલો કમાતો વ્યક્તિ હતો. વિશાલ ડાભી નાનો હતો ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું. પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં તેમનો મૃતદેહ ખસેડવામાં આવ્યો છે.