ગુજરાત ભાજપનુ ફોકસ એવી સીટો પર જે ક્યારેય નથી જીત્યા
ગુજરાતની આવનારી વિધાનસભા ચૂંટણી 2022માં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ પોતાનો ગઢ ન હોય તેવી બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.
અમદાવાદઃ ગુજરાતની આવનારી વિધાનસભા ચૂંટણી 2022માં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપ પોતાનો ગઢ ન હોય તેવી બેઠકો તેમજ દલિત અને આદિવાસી મતબેંક કે જેઓ પરંપરાગત રીતે ભાજપના સમર્થકો નથી તેમના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલા આંકડાઓમાં સુધારો થવાની આશા સાથે રાજ્ય એકમના પ્રમુખ સીઆર પટેલનુ કહેવુ છે કે પાર્ટી તમામ 182 વિધાનસભા બેઠકો પર જીત મેળવવાનુ લક્ષ્ય ધરાવે છે. આ માટે બૂથ લેવલે માઈક્રો મેનેજમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે. વળી, અનેક સ્તરે મતદારોને એકઠા કરવામાં આવી રહ્યા છે.
પાર્ટીના આંતરિક સૂત્રોના કહેવા મુજબ ભાજપ એવી બેઠકોને પ્રાથમિકતા આપી રહી છે જ્યાં તે ઐતિહાસિક રીતે જીત મેળવી શકી નથી અને આવી બેઠકો પર પોતાનો પ્રભાવ વધારવા માટે ઓવરટાઈમ કરી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યુ કે લગભગ 30 એવી બેઠકો છે જ્યાં અમે અત્યાર સુધી બહુ સારુ કરી શક્યા નથી. હવે એ બેઠકો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.
ભાજપના આ અભિયાનની અસર દેખાઈ રહી છે જેમાં ખેડબ્રહ્મા અને વડગામના કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને મણિલાલ વાઘેલા હાલમાં જ ભાજપમાં જોડાયા. તમને જણાવી દઈએ કે કોટવાલ ખેડબ્રહ્માના સીટિંગ ધારાસભ્ય હતા જ્યારે વાઘેલાને કોંગ્રેસે 2017માં જિજ્ઞેશ મેવાણી માટે પડતા મૂક્યા હતા. બંને બેઠકો કોંગ્રેસનો ગઢ છે. ભાજપ હવે આ બેઠકો જીતવા માટે કોટવાલ અને વાઘેલાના ગુડવીલ પર આ બેઠકો જીતવાની આશા રાખી રહ્યુ છે. વળી, પાર્ટી 27 આદિવાસી બેઠકો પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે જેમાંથી 2017માં માત્ર 12 બેઠકો જીતી શકી હતી.