શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ કેસમાં નવો વણાંક, જાણો શું થયો ખુલાસો?
ગુજરાતમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્નીના રહસ્યમય મોતના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આ કેસ અકસ્માત કે આપઘાતનો જણાતો હતો, પરંતુ પોલીસ તપાસમાં હવે આ મામલો પત્નીની હત્યા બાદ આપઘાતનો હોવાનું ખુલ્યું છે.

અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ, યશરાજસિંહે પહેલા પોતાની પત્ની રાજેશ્વરીબાને ગોળી મારી હતી અને ત્યારબાદ પોતે પણ રિવોલ્વરથી જીવન ટૂંકાવ્યું હતું. ડીસીપી ડો. હર્ષદ પટેલે પુષ્ટિ કરી છે કે, તપાસમાં આ ઘટના કોઈ અકસ્માત નહીં પણ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા હોવાનું સાબિત થયું છે.
ઘટનાની રાત્રે દંપતી સંબંધીને ત્યાં જમીને પરત ફર્યું હતું, જે બાદ લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસના મતે, રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છૂટીને માથાના પાછળના ભાગે વાગે તે ટેકનિકલી શક્ય નથી, જેથી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રિવોલ્વરમાં માત્ર બે જ બુલેટ હતી અને બંનેનો ઉપયોગ થયો હતો, જે દર્શાવે છે કે આ આખી ઘટના ચોક્કસ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, આધુનિક રિવોલ્વરમાં સેફ્ટી લોક હોવાથી ટ્રિગર દબાવ્યા વગર ગોળી ચાલવી અશક્ય છે, જે યશરાજસિંહના ઈરાદા તરફ ઈશારો કરે છે.
હાલ પોલીસ દ્વારા દંપતીના મોબાઈલ ફોન અને કોલ ડિટેઈલ્સની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે જેથી હત્યા પાછળનું કારણ જાણી શકાય. ફોરેન્સિક રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ હાઈપ્રોફાઈલ કેસમાં હજુ પણ અનેક મોટા ખુલાસાઓ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
