અમદાવાદથી અયોધ્યા માટે મળશે ડાયરેક્ટ ફ્લાઈટ, જાણો ભાડું અને ટાઇમ ટેબલ
Ahmedabad to Ayodhya flight: ગુજરાતના ભગવાન રામના ભક્તો પાસે રામ મંદિરના અભિષેક સમારોહ બાદ મંદિરના નગર અયોધ્યા દર્શન કરવા માટે વધુ એક વિકલ્પ ઉપલ્બ્ધ થશે. હવે સ્પાઇસ જેટ દ્વારા ડાયરેક્ટ અમદાવાદ-અયોધ્યા ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે.
સ્પાઈસ જેટની ફ્લાઈટ 1 ફેબ્રુઆરી, 2024થી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યા ધામ વચ્ચે બુધવારને બાદ કરતાં અઠવાડિયામાં છ દિવસ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન કરશે.

ફ્લાઇટ સવારે 6 કલાકે SVPI એરપોર્ટથી ઉપડશે, અને સવારે 8 કલાકે અયોધ્યામાં ઉતરશે. પરત ફરવા માટે ફ્લાઇટ અયોધ્યા એરપોર્ટથી બપોરે 12:30 કલાકે ઉપડશે અને બપોરે 2:25 કલાકે અમદાવાદ ઉતરશે. આ અહેવાલ લખાઇ રહ્યો છે તે સમયે સ્પાઈસજેટની વેબસાઈટ મુજબ, બે શહેરો વચ્ચે એક જ પ્રવાસનું ભાડું લગભગ 4500 છે. એટલે કે 9000 રૂપિયામાં તમે વિમાનમાં બેસીને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરીને અમદાવાદ પરત આવી શકો છે.
સ્પાઈસજેટની વેબસાઈટ પર ઉપલબ્ધ તાજેતરની માહિતી અનુસાર, અયોધ્યાની મુલાકાત લેવાનું આયોજન કરતા ભક્તો માટે સુવિધાજનક મુસાફરી વિકલ્પ પ્રદાન કરતી આ સેવા અત્યારે 1 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી ચાલવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો પ્રથમ એર કેરિયર હતી, જેણે અમદાવાદથી અયોધ્યા ધામ વચ્ચે ફ્લાઇટની જાહેરાત કરી હતી. અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 11 જાન્યુઆરીથી ત્રિ-સાપ્તાહિક ધોરણે કામગીરી શરૂ કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
