પ્રથમ તબક્કા માટે 1215 ઉમેદવારીપત્રો માન્ય

વિરમગામ બેઠક પર ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર અને ધંધુકા બેઠકના લોકજનશક્તિ પાર્ટીના ઉમેદવારે પુરતા ટેકેદારો દર્શાવ્યા ન હોવાથી બન્નેના ફોર્મ રદ થયા હતા. વિરમગામ બેઠક પર ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે દશરથભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. નિયમ મુજબ આ ઉમેદવારે 10 ટેકેદારો દર્શાવવાના હોય છે. પરંતુ તેમણે એક જ ટેકેદાર દર્શાવેલા હોવાથી તેનું ફોર્મ આજે રદ કરાયું હતું.
લોકજનશક્તિ પાર્ટીના ધંધુકાના ઉમેદવારે પણ 10 ટેકેદારના બદલે એક જ ટેકેદાર દર્શાવેલા હોવાથી તેનું ફોર્મ રદ કરાયું હતું. સોમવારે ગુજરાતની 87 બેઠકોમાં ભરાયેલા કુલ 1516 ઉમેદવારોમાંથી 301 ઉમેદવારોનું ફોર્મ રદ કરાતાં હવે 1215 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. હવે આગામી 28 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. તે પછી પ્રથમ તબક્કાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007ની વાત કરવામાં આવે તો એક તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 1268 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. એવી જ રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002માં કુલ 1000 ઉમેદવારો વચ્ચે અંતિમ જંગ ખેલાયો હતો. પાછલી બે ચૂંટણીઓના આંકડા જોતા આ વર્ષે પ્રથમ તબક્કાની ચૂંટણીઓ ઉમેદવારોની સંખ્યા વધારે લાગી રહી છે. બીજા તબક્કાની 95 બેઠકો માટેના ઉમેદવારો પણ જોડાતા ચૂંટણી લડનારા કુલ ઉમેદવારોનો આંક આ ચૂંટણીમાં ઊંચો જઇ શકે છે.












Click it and Unblock the Notifications
