રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વિકેટો ખડવા લાગી, બે ધારાસભ્યોનાં રાજીનામાં
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વિકેટો ખડવા લાગી, બે ધારાસભ્યોનાં રાજીનામાં
આગામી 19મી જૂને ગુજરાતની 4 રાજ્યસભા સીટ પર ચૂંટણી થનાર છે જેને લઈ ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે અને હજી પણ એક ધારાસભ્ય રાજીનામું આપવાની તૈયારીમાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જેને પગલે આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણીમાં કાટાની ટક્કર થઈ શકે છે.
કરજણથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે અને કપરાડાથી ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી દીધાં છે. આ મામલે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિેવેદીએ આ બંને ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોવાની પુષ્ટિ કરી છે.
રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, 'અક્ષય પટેલ કાલે મળવા આવ્યા હતા અને રૂબરુમાં તેમણે રાજીનામું આપી દીધું છે. જે બાદ કાલે સાંજ જ જીતુભાઈ ચૌધરી પણ મને મળવા આવ્યા હતા અને તેમણે પણ રાજીનામું આપી દીધું છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાથી મારે રાજીનામું સ્વીકારવું પડે.' વધુમાં તેમણે જણાવ્યું કે બંને ધારાસભ્યોના માસ્ક ઉતારી તેમના ચહેરા જોઈ તેમની ઓળખ પણ કરવામાં આવી હતી. સૂત્રો મુજબ હજી પણ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સંપર્માં નથી.
રાજીવ સાતવે ટ્વીટ કરીને આ મામલે કહ્યું કે, 'અત્યારે દેશમાં ઈતિહાસનો સૌથી મોટી સ્વાસ્થ્ય, આર્થિક અને હ્યુમન આપદા ચાલી રહી છે ત્યારે પણ ભાજપ રાજ્યસભા માટે ધારાસભ્યોને ખરીદવામાં પોતાની બધી એનરજી વેડફવા સિવાય બીજું કંઈ વિચારી નથી શકતું.'
વિધાનસભામાં પાર્ટી મુજબ સીટનું ચીત્ર
માર્ચ મહિના પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ પાંચ ધારાસભ્યએ રાજીનામાં આપ્યા બાદ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની કુલ સંખ્યા 68 થઈ ગઈ હતી જ્યારે ભાજપની સંખ્યા 103 છે. ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા નરહરી અમીનને પણ રાજ્યસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા હોય કોંગ્રેસ માટે ત્રીજી સીટ જીતવી પણ અઘરી પડી શકે છે. 103 ધારાસભ્યો સાથે ભાજપ 2 સીટ આસાનીથી જીતી જશે અને જો નરહરી અમીનની બાજી કામે લાગી ગઈ તો ત્રણ સીટ પર કબ્જો જમાવી શકે છે.
ભારત લાવવાના સમાચાર પર બોલ્યા વિજય માલ્યા- રિપોર્ટ ખોટા છે