ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
સુરતમાં યુવકે 5માં માળેથી અર્ધનગ્ન અવસ્થામાં પડતું મૂક્યું, બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનું ક્યારે અટકશે?...આવા જ ગુજરાતના મહત્વના સમાચારો વાંચો અહીં.
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
નર્મદા કેનાલમાં બે ભાઈઓના ડૂબી જતા મોત
બનાસકાંઠામાં માલસણ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ભાઈ પડતા તેને બચાવવા જતા બીજો ભાઈ પણ પડ્યો હતો અને બંનેના ડૂબી જવાથી મોત થયા હતા. થરાદ તાલુકાના ખોરાડ ગામના જયંતિ સુરાભાઇ વાલ્મીકી અને અશોકભાઇ સુરાભાઇ વાલ્મીકી ભાગિયા તરીકે રહેતા હતા. જેઓ કેનાલમાં મૂકેલા ઓઇલ મશીનના ફૂટવાલમાં પાણી ભરવા માટે ગયા હતા અને તે વખતે એક ભાઇનો પગ લપસી જતાં તે કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેને ડૂબતો બચાવવા બીજો ભાઇ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. પણ બન્ને બહાર ના આવી શકતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ધોળકા પાસેથી મળી આવી નવજાત બાળકી
અમદાવાદથી 70 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં નવજાત બાળકી મળી આવી હતી. આ શિશુને સારવાર માટે 108 દ્વારા સીએચસીમાં મોકલવામાં આવી છે. આ બાળકી બાપા સીતારામની મઢૂલી પાસેથી ધોળકા ખાતેથી મળી આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ આવા નવજાત બાળક મળી આવવાના કિસ્સા વધ્યા છે.
ડૉ. બાબા સાહેબ આંબેડકરના ચશ્મા ગાયબ થવાથી હોબાળો
અમદાવાદના સંજયનગરમાં લાગેલા ડૉ. બાબા સાહેબ આંબેડકરના પૂતળા પરથી તેમના ચશ્મા ગાયબ થતા સ્થાનિક લોકોએ આ અંગે રોષ વ્યક્ત કરીને હોબાળો કર્યો હતો. અને ચક્કાજામ કરતા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ આ અંગે વધુ તપાસ હાથ લેવામાં આવી છે.
બનાસકાંઠાના વાવ ગામની કેનાલમાં ફરી એક વાર ગાબડું
બનાસકાંઠાની કેનાલોમાં ગાબડા પડવાનું ચાલું જ છે. જેના કારણે ખેતરોમાં ફરી એક વાર પાણી ફરી વળ્યા છે. વાવ ગામના સનેસડા ગામમાં 50 ફૂટ સુધીનું ગાબડું પડ્યું હતું અને માત્ર 10-15 દિવસમાં બીજી વખત ગાબડું પડવાને કારણે ખેડૂતોને ફરીથી રોવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠના વાવ વિસ્તારમાં ચોમાસા બાદ સતત ગાબડા પડી રહ્યા છે.
સુરતના ડિંડોલીમાં અર્ધનગ્ન યુવક પાંચમા માળેથી પટકાયો
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા એવન કોમ્પલેક્ષના પાંચમાં માળે રહેતો મૂળ હરિયાણાનો યુવક અર્ધનગ્ન અવસ્થામાં નીચે પટકાયો હતો. આ યુવક કેટલાક મહિનાથી ફ્લેટમાં ફર્નિનચર બનાવવાનું કામ કરતો હતો. રાત્રે આ ઘટના જોતા સિક્યુરીટી ગાર્ડે બૂમાબૂમ કરીને લોકોને ભેગા કર્યા હતા. મૃતક યુવકનું નામ રામસરવંત દેસરે હોવાનું માલૂમ પડ્યું છે.
મહેસાણામાં વિદ્યાર્થીને શિક્ષકે મારતા સોળ ઉઠ્યા
મહેસાણાના લાખવડ ગામમાં રહેતો વિદ્યાર્થી હર્ષદ પ્રકાશકુમાર પટેલને તેની શાળામાં વી.આર. કર્વે ને તેના શિક્ષકે મારતા તેના શરીર પર સોળ ઉઠી ગયા હતા. હર્ષદ તેના મિત્રો સાથે શાળાના પ્રાંગણમાં ઉભો હતો ત્યારે શિક્ષક હાથમાં સોટી લઈને આવી જતા તેને મારવા માડ્યા હતા. અને વિદ્યાર્થી હર્ષદ તથા અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષકે સોટીઓ મારી હતી એવી ફરિયાદના ડિવિઝન પોલીસ મથકે, શિક્ષક વિરુદ્ધ નોંધાવાઈ છે.