અંકલેશ્વરમાંથી હત્યા કેસમાં 4 બાંગ્લાદેશીની ધરપકડ, આરોપીઓમાં એક આતંકી સંગઠનનો સભ્ય
ગુજરાતના અંકલેશ્વરમાં ગેરકાયદેસર રહેતા ચાર બાંગ્લાદેશીની પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. તેમાંથી એક આરોપીની આતંકી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (એબીટી) સાથે લીંક મળી છે.
ગુજરાતના અંકલેશ્વરમાં ગેરકાયદેસર રહેતા ચાર બાંગ્લાદેશીની પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. તેમાંથી એક આરોપીની આતંકી સંગઠન અંસારુલ્લાહ બાંગ્લા ટીમ (એબીટી) સાથે લીંક મળી છે. પોલીસ તપાસ દરમિયાન બાંગ્લાદેશી આરોપી અજોમ શમસુ શેખ આતંકી સંગઠનનો સભ્ય હોવાનું સામે આવ્યુ છે. હવે પોલીસ હત્યા કેસમાં આતંકી એંગલથી તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે, અંકલેશ્વરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમરતપુરા ગામ પાસેથી ટ્રાવેલ બેગમાંથી અજાણ્યા શખ્સના અંગો મળી આવ્યા હતા. ત્યારબાદ સારંગપુરામાંથી પણ આ જ પ્રકારે ટ્રાવેલ બેગમાંથી પુરુષના અંગો મળ્યા હતા. ભરૂચ પોલીસે આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી છે. જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે, અમદાવાદમાં રહેતો અકબર નામનો વ્યક્તિ અંકલેશ્વરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતો હતો. પકડાયેલા આરોપીઓ અકબરની ધમકીથી નારાજ હતા અને એક મહિલાની મદદથી આ લોકોએ અકબરને અમદાવાદથી અંકલેશ્વર બોલાવી તેની હત્યા કરી હતી.
હત્યા બાદ, આરોપીઓએ અકબરના મૃતદેહના ટુકડા કરી ટ્રાવેલ બેગમાં ભરીને અમરતપુરા અને સારંગપુરામાં ફેંકી દીધો. આ હત્યાના આરોપી અજોમ શેખ આ પહેલા પણ પોલીસ કેસમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. અજોમ બાંગ્લાદેશના કમરકુલા ગામનો રહેવાસી છે જે અંકલેશ્વર અને ભરૂચમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
બીજી તરફ ગુજરાતમાં નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના બે શકમંદોએ આત્મહત્યા કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવિ જાદવ અને સુનીલ પવાર (બંને 19 વર્ષ) ને મંગળવારે સાંજે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બુધવારે સવારે બંનેએ કપડાંનો ફંદો બનાવી આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે હજુ સુધી કંઇ કહ્યું નથી, પરંતુ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના આ કેસમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.