ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 92 એશિયન સિંહો મરી ગયા

લાઠીના કોંગ્રેસી સાંસદ બાવકુ ઉંધાડે પૂછેલા પ્રશ્નનો લેખિતમાં જવાબ આપતા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગોવિંદભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું કે તાજેતરમાં 9 સિંહો અકસ્માતે કૂવામાં પડી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2011 અને 2012માં દર વર્ષે 46 સિંહો મૃત્યુ પામ્યા હતા. તેમાંથી 43 સિંહબાળ હતા, 29 સિંહણો અને 20 સિંહો હતા. રાજ્યના એક પણ પ્રદેશમાં શિકારનો એક પણ કિસ્સો બન્યો નથી.
આ જ મુદ્દે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગી છે. આ કારણે જ સિંહો પણ તેમના આરક્ષિત વિસ્તારની બહાર નીકળે છે. આને સાસણ ગીરની આસપાસની વિસ્તારોમાં ભ્રમણ કરે છે. અમે સરકાર પાસેથી જાણવા ઇચ્છીએ છીએ કે સિંહો બહાર ના જાય એ માટે સરકારની કોઇ યોજના છે ખરી?
આ પ્રશ્નના જવાબમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે "સિંહોને જંગલ છોડીને બહાર જવું પડે એવી કોઇ સ્થિત હાલમાં નથી. વર્ષ 2010માં હાથ ધરવામાં આવેલી સિંહોની વસતી ગણતરી અનુસાર રાજ્યમાં કુલ 411 સિંહો છે."
ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં થયેલી સિંહોની વસતી ગણતરીમાં રાજ્યમાં 359 સિંહો હતા. જ્યારે વર્ષ 2010માં તેમની સંખ્યા વધીને 411 થઇ આમ સિંહોની સંખ્યામાં પાંચ વર્ષમાં 52 સિંહો વધ્યા છે. સરકારે કરેલા પ્રયત્નોના કારણે વનમાં સિંહોની સંખ્યા વધી છે. સરકારે ગીરના જંગલમાં પાણી ઉપલબ્ધ બનાવવા માટે 500 જેટલા કૃત્રિમ તળાવો ઉભા કર્યા છે. ઉપરાંત વર્ષ 2007થી અત્યાર સુધીમાં 10.20 કરોડના ખર્ચે 18882 કુવાઓને સુરક્ષિત કર્યા છે જેથી અંધારામાં પાણીની શોધમાં સિહો તેમાં પડીને મૃત્યુ ના પામે.












Click it and Unblock the Notifications
