ભુજ ખાતે કેન્દ્ર સરકારની ટીમે બેઠક યોજીને બિપરજોય વાવાઝોડાં અંગે કચ્છ વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી
બિપરજોય વાવાઝોડા સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના શીર્ષ અધિકારીઓએ કલેક્ટરની કચેરી ભુજ ખાતે બેઠક યોજીને પૂર્વ તૈયારીઓ અને વાવાઝોડા બાદની વહીવટીતંત્રની તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરીને માહિતી મેળવી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી કેવી રીતે વાવાઝોડામાં વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી તેના વિશે જાણકારી આપી હતી. ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના લીડર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત સચિવ હર્ષ ગુપ્તા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ બેઠક દરમિયાન વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારના ઝીરો કેઝ્યુઆલટીના અભિગમને ધ્યાનમાં રાખીને તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. તેઓએ બિપરજોય વાવાઝોડા પૂર્વે દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરી, કલસ્ટર વાઈઝ અધિકારીઓની નિમણૂક, શેલ્ટર હોમ્સનું એનજીઓ અને પોલીસ સ્ટેશન સાથે મેપિંગ, કોમ્યુનિકેશન વ્યવસ્થા, ફૂડ પેકેટ વિતરણ વ્યવસ્થા, બાળકો માટે મિલ્ક પાઉડરની વ્યવસ્થા, પાણી વિતરણ, વીજ પુન:સ્થાપનને કેન્દ્રમાં રાખીને મટિરિયલ્સની ઉપલબ્ધતા, ઝાડ ટ્રિમિંગ, વાવાઝોડા પહેલા સર્ગભા મહિલાઓનું મેડિકલ ફેસિલિટીઝમાં સ્થળાંતર, પશુઓની સુરક્ષા, ધાર્મિક સ્થળો-પ્રવાસન સ્થળો બંધ રાખીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી વગેરે પ્રાથમિકતાના ધોરણે લેવાયેલા પગલાઓ વિશે જાણકારી આપી હતી.
પીજીવીસીએલ જોઈન્ટ એમ.ડી પ્રીતિ શર્માએ વાવાઝોડા પહેલાની વીજ વિભાગની તૈયારીઓ, બહારના જિલ્લામાંથી રિસ્ટોરેશન ટીમોની તૈનાતી, વાવાઝોડામાં વીજ વિભાગને થયેલી નુકસાની, વાવાઝોડા બાદ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાની કામગીરી અંગે વિસ્તૃત વિગતો અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી.
આ ઉપરાંત, દિલ્હી આવેલી ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, સ્કૂલોમાં નુકસાની, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, આરોગ્ય ફેસિલિટીઝમાં નુકસાની, ઝાડ હટાવવાની કામગીરી અને ખેડૂતોને-અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કેશ ડોલ્સ અંગે પૃચ્છા કરી હતી. જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ તમામ વિગતોથી ટીમના સભ્યોને અવગત કરાવ્યા હતા. આ ઈન્ટર-મિનિસ્ટ્રીયલ ટીમ કચ્છ જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાની તેમજ રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, નિવાસ અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, સંયુક્ત બાગાયત નિયામક ફાલ્ગુન મોઢ, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેર વી.એન.વાઘેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઈજનેર એમ.જે.ઠાકોર, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ, ડેપ્યુટી ડીડીઓ આસ્થા સોલંકી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ હરેશ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, જિલ્લા પશુપાલન અધિકારી હરેશ ઠક્કર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
